રાજકોટમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે હર્ષ સંઘવીની બેઠક

April 21, 2024

રાજકોટ- રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે. ક્ષત્રિયોનો ગુસ્સો શાંત કરવા માટે ભાજપના નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠકો કરવામાં આવી રહી છે. ત્યારે આજે (21મી એપ્રિલ) રાજકોટમાં એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 
સૂત્રોના જણાવ્યાનુસાર, રાજકોટમાં ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ બેઠકમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના ગુસ્સાને શાંત કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્ષત્રિય સમાજના મતનું નુકસાન ન થાય તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.