ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિની પોસ્ટ કરનાર ભાજપ સાંસદની પુત્રીનું ઈન્સ્ટા એકાઉન્ટ બંધ

July 26, 2026

દિલ્હી ઃ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભુવનેશ્વરના ભાજપ સાંસદ અપરાજિતા સારંગીની પુત્રી અર્ચિતા સચિન રાહરની સોશિયલ મીડિયા પોસ્ટ વિવાદનું કારણ બની છે. આ પોસ્ટ બાદ ઓડિશા ભાજપના અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી, અને પાર્ટી અનુશાસનનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહરે પાછળથી કરેલી બીજી પોસ્ટમાં પણ પોતાનું વલણ ન બદલવાની વાત કહી હતી, જોકે બાદમાં તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું હતું.


કેન્દ્રીય શિક્ષણ મંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, ભુવનેશ્વરના ભાજપ સાંસદ અપરાજિતા સારંગીની પુત્રી અર્ચિતા સચિન રાહરની સોશિયલ મીડિયા પોસ્ટે ઓડિશા ભાજપમાં નારાજગી ઊભી કરી છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકરો વચ્ચે આ પોસ્ટને લઈને ચર્ચા તેજ બની છે. રાહરે ઈન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રીય ધ્વજની પૃષ્ઠભૂમિમાં ધર્મેન્દ્ર પ્રધાનની તસવીર શેર કરતા લખ્યું કે, 'નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું.' જોકે, હવે અર્ચિતા રાહરનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું છે.


બીજી તરફ, ઓડિશા ભાજપના નેતાઓ, જેમાં તેમની માતા અપરાજિતા સારંગી પણ સામેલ છે, તેમણે ધર્મેન્દ્ર પ્રધાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાંસદના કાર્યાલય સહાયક ધનેશ્વર બારિકે પીટીઆઈ સાથે ફોન પર વાતચીતમાં જણાવ્યું કે, 'દરેક વ્યક્તિને પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે. તેમની પુત્રી પણ Gen-Z પેઢીની છે, અને તેણે કહ્યું છે કે, તે પોતાના નિવેદન પર કાયમ છે. તેને પોતાની વાત કહેવાનો પૂરો હક છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું રાહરની સોશિયલ મીડિયા પોસ્ટથી ભુવનેશ્વરના સાંસદ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, તો બારિકે કહ્યું, 'એ તો સમય જ બતાવશે.' જોકે, આ મુદ્દે પ્રતિક્રિયા આપવા માટે બે વારના સાંસદ અપરાજિતા સારંગી ઉપલબ્ધ થઈ શક્યા નહોતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યાલયથી ફોન આવ્યા બાદ, સાંસદે તેમની પુત્રીને પોસ્ટ હટાવવા માટે કહ્યું હતું. જોકે, લાંબા સમય સુધી આ પોસ્ટ તેમની પ્રોફાઈલ પર રહી હતી, અને બાદમાં તેમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ થઈ ગયું હતું.