પાકિસ્તાનના કરાંચીમાં 5 માળની ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી, 7ના મોત, 8 ઈજાગ્રસ્ત

July 05, 2025

પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે (ચોથી જુલાઈ) લ્યારીના બગદાદી વિસ્તારમાં ફિદા હુસૈન શેખા રોડ સ્થિત પાંચ માળની  ઈમારત ધરાશાયી થઈ હતી. જેમાં સાતના મોત અને આઠ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હજુ ઈમારતના કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. કરાચીના મેયર મુર્તઝા વહાબ સિદ્દીકીએ 'X' પર પોસ્ટ કરીને લખ્યું કે, 'લ્યારીના બગદાદીમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સાત મૃતદેહો મળી આવ્યા છે.' વર્ષ 1974માં બનેલી પાંચ માળની ઈમારત કરાચીના જૂના વિસ્તારોમાં જર્જરિત ઈમારતોની યાદીમાં હતી. લ્યારી કરાચીના સૌથી ગીચ, નીચાણવાળા અને ઓછી આવક ધરાવતા વિસ્તારોમાંનો એક છે. ઈમારતનો કાટમાળ દૂર કરવા માટે ઘણી મશીનો બોલાવવી પડી હતી. પરંતુ બચાવ કામગીરી દરમિયાન 3 મહિનાની બાળકી જીવતી મળી હતી. બચાવકર્તાઓના જણાવ્યાનુસાર, 25 લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા આદેશ આપ્યો છે. તેમણે સિંધ બિલ્ડીંગ કંટ્રોલ ઓથોરિટીને અહેવાલ રજૂ કરવા અને શહેરમાં તમામ ખતરનાક બાંધકામોની તપાસ કરવા આદેશ આપ્યો છે.