અમેરિકાએ કેજરીવાલની ધરપકડ પર આપ્યું નિવેદન, કહ્યું અમારી નજર છે, નિષ્પક્ષ ન્યાય કરો

March 26, 2024

નવી દિલ્હી  : દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર જર્મની બાદ હવે અમેરકાએ નિવેદન આપ્યું છે. અમેરિકાએ પણ સખત વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે, તે ભારતના પ્રમુખ વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યું છે. 

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, અમે ભારતના પ્રમુખ વિપક્ષી નેતા કેજરીવાલની ધરપકડ પર નજર રાખી રહ્યા છે અને દેશમાં નિષ્પક્ષ કાનૂની પ્રક્રિયાની આશા કરીએ છીએ. 

અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમે મુખ્યમંત્રી કેજરીવાલના નિષ્પક્ષ, પારદર્શી અને સમયસર કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ. કેજરીવાલની ધરપકડ પર જર્મનીના નિવેદન બાદ ભારતે જર્મન રાજદૂતને બોલાવીને સખત નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાક્રમ બાદ જ અમેરિકાની આ મામલે પ્રતિક્રિયા આવી છે. 

કેજરીવાલની ધરપકડ પર જર્મનીના વિરોધ અંગે ભારતના વાંધા અંગે પૂછવા પર અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે આ માટેતમારે જર્મનીના વિદેશ મંત્રાલય સાથે વાત કરવી પડશે કે તેઓએ ભારત સરકાર સાથે શું વાતચીત રહી છે.

લીકર પોલિસી કૌભાંડ મામલે કેજરીવાલની ધરપકડ પર જર્મનીએ કહ્યું હતું કે આ મામલે સમગ્ર કાર્યવાહી નિષ્પક્ષ હોવી જોઈએ અને સીએમ કેજરીવાલને કોઈપણ પ્રતિબંધ વિના કાયદાકીય માર્ગ અપનાવવાનો અધિકાર મળવો જોઈએ. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કાયદાના શાસન અને મૂળભૂત સિદ્ધાંતો પર પણ ભાર મૂક્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા સેબેસ્ટિયન ફિશરને જ્યારે કેજરીવાલના કેસ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે સંજ્ઞાન લીધું છે. ભારત એક લોકશાહી દેશ છે. અમે માનીએ છીએ અને આશા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે સંબંધિત ધારા ધોરણો આ મામલે પણ લાગુ કરવામાં આવશે. 

કેજરીવાલની ધરપકડ અંગે જર્મની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. ભારતે જર્મન રાજદૂતને બોલાવીને સખત નારાજગી વ્યક્ત કરી હતી. જર્મન મિશનના ડેપ્યુટી ચીફ જ્યોર્જ એન્ઝવેઈલરને બોલાવીને પોતાનો સખત વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, જર્મનીની ટિપ્પણી ભારતના આંતરિક મામલે અયોગ્ય હસ્તક્ષેપ છે.