અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાનની ગણતરી કરતા 23 કર્મચારીના સામૂહિક રાજીનામા

July 10, 2026

અયોધ્યા : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં તાજેતરમાં સામે આવેલા દાન ચોરીના વિવાદ વચ્ચે હવે એક નવું સંકટ ઊભું થયું છે. મંદિરમાં આવતા ચઢાવા (દાન)ની ગણતરી કરવાનું કામ કરતા 23 કર્મચારીઓએ એકસાથે સામૂહિક રાજીનામા આપી દીધા છે. આ આકસ્મિક નિર્ણયને કારણે ગુરુવારે માત્ર 13 કર્મચારીઓ જ કામ પર હાજર રહ્યા હતા, જેના લીધે દાનની ગણતરીનું કામ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. આ સામૂહિક રાજીનામાથી રામ મંદિર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને સુરક્ષા એજન્સીમાં ભારે દોડધામ મચી ગઈ છે.

રાજીનામું આપનાર એક કર્મચારીએ મીડિયાને જણાવ્યું કે, દાન ચોરીનો મામલો સામે આવ્યા બાદ એહતિયાત રૂપે ગણતરીની બે શિફ્ટને બદલે એક જ શિફ્ટ કરી દેવામાં આવી હતી. આના કારણે પહેલા જે ડ્યુટી 6 કલાકની હતી તે વધારીને 9 કલાક (સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી) કરી દેવાઈ હતી.

આ ઉપરાંત, કર્મચારીઓનો સૌથી મોટો આક્રોશ પગાર ઘટાડાને લઈને છે. પહેલા તમામ કર્મચારીઓને માસિક 14755 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો, જે ઘટાડીને અલગ-અલગ (કોઈને 8 હજાર તો કોઈને 11 હજાર રૂપિયા) કરી દેવામાં આવ્યો હતો. સાથે જ મહિનામાં મળતી રજાઓ પણ ઓછી કરી દેવાઈ હતી. બુધવારે સાંજે કામ પૂરું થયા બાદ તમામ કર્મચારીઓએ એકઠા થઈને કામના કલાકો અને પગાર પહેલા જેવા કરવાની માગ સાથે એસબીઆઈ (SBI) તુલસી ઉદ્યાન શાખાના અધિકારીઓ અને સૈનિક સિક્યોરિટીના સુપરવાઈઝર જયરામ યાદવ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તેમની માગણીઓ અસ્વીકાર કરાતા ગુસ્સે ભરાયેલા 23 કર્મચારીઓએ હસ્તાક્ષર યુક્ત સામૂહિક રાજીનામું સોંપી દીધું હતું. ગુરુવારે સવારે કોઈ કર્મચારી કામ પર ન આવતા બેંકથી લઈને ટ્રસ્ટ સુધી હડકંપ મચી ગયો હતો.