કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિરથી કરોડોનો ચઢાવો ગાયબ...', અખિલેશ યાદવનો આરોપ

June 07, 2026

ટ્રસ્ટે કહ્યું આવી ભૂલ શક્ય જ નથી 


અયોધ્યા : ઉત્તર પ્રદેશના રાજકારણમાં અયોધ્યા અને રામ મંદિરને લઈને ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરાયેલા ચઢાવામાંથી કરોડો રૂપિયાની રકમ ગાયબ થઈ હોવાનો અત્યંત ગંભીર આરોપ લગાવ્યો છે. આ સનસનાટીભર્યા દાવા બાદ, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે સપા અધ્યક્ષના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દેતા આકરો પલટવાર કર્યો છે.

યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ શેર કરતા લખ્યું, 'સમગ્ર વિશ્વમાં ભગવાન રામના ભક્તો માટે આ એક અત્યંત સંવેદનશીલ સમાચાર છે કે, રામ મંદિરના ચઢાવાની કરોડોની રકમ ગાયબ જોવા મળી છે. આ મંદિર ટ્રસ્ટ માટે અત્યંત શરમજનક પરિસ્થિતિ છે. કોઈ પણ સ્પષ્ટતા આપવા માટે સામે આવવા તૈયાર નથી. ન્યાયાલયને આ મામલે સુઓમોટો સંજ્ઞાન લેવા વિનંતી છે, કારણ કે આનો સીધો સંબંધ વૈશ્વિક સ્તરે સમગ્ર સનાતની સમાજની પ્રભુ રામમાં રહેલી ઊંડી આસ્થા સાથે જોડાયેલો છે. આ મામલે સરકારની ચૂપકીદી શંકાસ્પદ છે.'


રામ મંદિરના ચઢાવામાંથી કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશ યાદવના આરોપો પર હવે ટ્રસ્ટ તરફથી પ્રથમ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે સપા અધ્યક્ષના આરોપોને પાયાવિહોણા અને રાજકારણથી પ્રેરિત ગણાવ્યા છે. મહંત દિનેન્દ્ર દાસે જણાવ્યું કે, 'ટ્રસ્ટમાં આવી મોટી ભૂલ ક્યારેય થઈ જ ન શકે. અમારે ત્યાં દરેક નાણાકીય વ્યવહારનો સંપૂર્ણ અને પાકો લેખિત હિસાબ-કિતાબ રાખવામાં આવે છે. અત્યારે પણ તમામ વ્યવહારો એકદમ યોગ્ય અને પારદર્શક રીતે ચાલી રહ્યા છે, અને ભક્તોમાં પૂરો સદભાવ તેમજ પ્રેમ જળવાયેલો છે.'