આસામમાં પુરમાં ગંભીર ઈજાગ્રસ્ત 53 વર્ષીય હાથણીનું આસામથી જામનગર 'વનતારા' ખાતે થશે એરલિફ્ટિંગ

August 21, 2026

જામનગર- જુલાઈ મહિનામાં નાગાલેન્ડ અને આસામમાં આવેલા વિનાશક પૂરમાંથી બચાવાયેલી 53 વર્ષીય માદા હાથણી 'જોયમોતી' ને તાત્કાલિક અને અત્યાધુનિક પશુચિકિત્સા પૂરી પાડવા માટે 'વનતારા' ખાતે એરલિફ્ટ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ભારતમાં તાત્કાલિક સારવારને ધ્યાને રાખીને પ્રથમ વખત આ રીતે હાથીનું એરલિફ્ટિંગ થઈ રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત 'વનતારા' ગુજરાતના જામનગરમાં આવેલું છે.

જુલાઈના બીજા સપ્તાહમાં નાગાલેન્ડના પૂરના પાણીમાં તણાઈ ગયેલી આ હાથણીને સ્થાનિક લોકો અને સરકારી એજન્સીઓની મદદથી બચાવી લેવાઈ હતી. આ દુર્ઘટનામાં તેને કપાળ, જમણો કાન, પૂંછડીની ઉપરનો ભાગ, ડાબી જાંઘ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના ગુપ્તાંગની આસપાસના ઊંડા ઘામાં કીડા પડી ગયા હતા. તેની જમણી આંખ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થવાથી તે અંધ બની ગઈ છે અને તેમાંથી સતત પાણી વહી રહ્યું છે. લાકડાં ખેંચવાના કામ દરમિયાન ભૂતકાળમાં ડાબા પગમાં થયેલા ફ્રેક્ચરને કારણે તે લંગડાઈને ચાલે છે, જેનાથી તેને ચાલવામાં તેમજ ખોરાક અને પાણી મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.


બચાવ કામગીરી બાદ જોયમોતીને સ્થાનિક સ્તરે પ્રાથમિક તબીબી સારવાર આપવામાં આવી હતી, જેમાં ઘાનું ડ્રેસિંગ, પેઇનકિલર દવાઓ અને મલ્ટીવિટામીન સપ્લીમેન્ટ્સનો સમાવેશ થાય છે. જોકે, તેના ઘાની ગંભીરતા, ઉંમર અને હલનચલનમાં પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેને તાત્કાલિક ધોરણે એક અત્યાધુનિક હોસ્પિટલના માહોલમાં નિષ્ણાત સારવારની આવશ્યકતા ઊભી થઈ હતી. જોયમોતીને વનતારા ખાતે ખસેડવાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર તેને તાત્કાલિક અને વિશેષ તબીબી સારવાર પૂરી પાડવાનો છે. જમીન માર્ગે મુસાફરીનો સમય અને શારીરિક શ્રમ ઘટાડવા તથા તેના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને તેને એરલિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વનતારા પહોંચ્યા બાદ, પશુચિકિત્સકો દ્વારા તેનું સઘન ચેકઅપ કરવામાં આવશે અને તેની ઈજાઓ તથા આંખની સમસ્યા માટે જરૂરી પોષણ અને સહાયક સારવાર આપવામાં આવશે.