ઇઝરાયલ-ઈરાન વચ્ચે 7 કલાક ભીષણ યુદ્ધ:ઇઝરાયલે ફરીથી પરમાણુ ઠેકાણા પર હુમલો કર્યો; જવાબમાં ઈરાને 150 મિસાઇલ છોડી

June 14, 2025

ઇઝરાયલે સતત બીજા દિવસે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. શુક્રવારે મોડી રાત્રે ઇઝરાયલી લડાકુ વિમાનોએ ફરીથી ઈરાનના પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા. ઇઝરાયલી હુમલામાં અત્યાર સુધીમાં 78 ઈરાની લોકો માર્યા ગયા છે અને 350થી વધુ લોકો ઘાયલ થયા છે.

જવાબમાં ઈરાને ઇઝરાયલ તરફ 150 બેલિસ્ટિક મિસાઇલો છોડી. આમાંથી 6 મિસાઇલો રાજધાની તેલ અવીવમાં પડી, જેમાં 2 લોકો માર્યા ગયા. તે જ સમયે 90થી વધુ લોકો ઘાયલ થયા. ઈરાની મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલી રક્ષા મંત્રાલયને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઈરાન તરફથી હુમલાના ભયને કારણે ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઇઝરાયલે એક દિવસ પહેલા શુક્રવારે સવારે 5:30 વાગ્યે ઈરાની પરમાણુ અને અનેક લશ્કરી સ્થળોને નિશાન બનાવ્યા હતા. આમાં, 6 પરમાણુ વૈજ્ઞાનિકો અને 20થી વધુ લશ્કરી કમાન્ડર માર્યા ગયા હતા.