'મારી હત્યાનું ષડયંત્ર રચાયું...', બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

March 29, 2026

કલક્તા : પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ પુરુલિયા જિલ્લાના માનબજારમાં આયોજિત એક જનસભાને સંબોધિત કરી હતી, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ભાજપ તેમની હત્યા કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપના નેતાઓ તેમના સ્વાસ્થ્ય અને ઈજાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે, જ્યારે તેઓ 'મોતના મુખમાંથી લડીને પાછા આવ્યા છે.' જો કોઈને શંકા હોય તો તેઓ ડોક્ટરનો રિપોર્ટ જોઈ શકે છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી દરમિયાન તેમને કાવતરાના ભાગરૂપે ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમ છતાં તેઓ વ્હીલચેર પર બેસીને પણ ચૂંટણી પ્રચાર કરતા રહ્યા હતા.
મમતા બેનર્જીએ ઉમેર્યું કે ભાજપના નેતાઓના નિવેદનો પરથી કાવતરાની ગંધ આવે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, 'શું રમખાણોની જેમ કોઈ નવું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે?' તેમણે ભાજપ પર દેશને નુકસાન પહોંચાડવાનો, મોંઘવારી વધારવાનો અને ચૂંટણી સમયે ખોટા વાયદા કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.