તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા, અનેક ઘાયલ

June 30, 2025

તેલંગાણાના સંગારેડ્ડીમાં એક કેમિકલ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ફાર્મા કંપનીમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. આ અકસ્માતમાં 10 શ્રમિકના મોતની આશંકા છે તેમજ અંદાજે 15-20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. હજુ પણ ઘણા લોકો ફેકટરીમાં ફસાયેલા છે, જેથી મૃતકોની સંખ્યા વધી શકે તેવો પણ અંદાજ છે. તેલંગાણાના સંગારેડ્ડીમાં પાટન ચેરુ મંડળના સિગાચી ફાર્મા કંપનીમાં રિએક્ટરમાં સવારે 7 વાગ્યે વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયા બાદ આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું. જેમાં અકસ્માતના સમાચાર મળતા જ 11 ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી વિસ્ફોટનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે રિએક્ટરમાં ટેક્નિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હશે. ઘાયલ કામદારોમાંથી ઘણા ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમની હાલત ગંભીર છે. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. કામગીરી ચાલુ હોવાથી કુલ મૃતકોની સંખ્યાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.