ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી 'બબાલ', SIRની ડેડલાઈન પર માથાકૂટ

April 12, 2026

મુંબઈ- ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના SIR અભિયાનને લઈને વિવાદ વકર્યો છે. એક તરફ મુખ્ય ચૂંટણી કમિશનર અને IAS અધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ રહી છે, તો બીજી તરફ લાખો મતદારોના નામ યાદીમાંથી કપાઈ જતાં મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે. તાજેતરમાં યુપી કેડરના 2000 બેચના IAS અધિકારી અનુરાગ યાદવને પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં ચૂંટણી નિરીક્ષક પદેથી હટાવી દેવામાં આવ્યા છે. એક વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સાથે તેમની ઉગ્ર દલીલ થઈ હતી. સમીક્ષા બેઠકમાં પોલિંગ સ્ટેશનની સંખ્યાનો જવાબ મોડો આપવા બદલ સવાલ ઉઠાવાતા અનુરાગ યાદવે કહ્યું કે, હું પણ 25 વર્ષથી સર્વિસમાં છું, મારી સાથે આ રીતે વાત ન કરી શકાય. આ ઘટનાને શિસ્તહીનતા ગણીને આયોગે તેમને તાત્કાલિક પદમુક્ત કર્યા હતા. માત્ર ઉત્તર પ્રદેશ કે પશ્ચિમ બંગાળ જ નહીં, મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એસ. ચોકલિંગમે પણ નવેમ્બર મહિનામાં પંચને પત્ર લખીને આગાહ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાર યાદી શુદ્ધ કરવાનું કામ ઉતાવળમાં ન થઈ શકે. જ્યાં ચૂંટણી નજીક નથી, ત્યાં પૂરતો સમય આપવો જોઈએ. વર્તમાન ડેટાને 2002ના રેકોર્ડ સાથે મેપ કરવો એ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે. નોંધનીય છે કે 2001-02માં આ પ્રક્રિયા 13 મહિના ચાલી હતી, જેની સામે અત્યારે ખૂબ જ ઓછો સમય અપાયો છે.