અમદાવાદ પ્લેન ક્રેશ | 169 ભારતીય, 53 બ્રિટિશ મુસાફરો હતા

June 12, 2025

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઇજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો.  પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ (Civil Aviation Minister Ram Mohan Naidu) સાથે વાત કરી છે. તેમણે તેમને અમદાવાદ જવા અને શક્ય તમામ સહાય સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel) સાથે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. આ ઉપરાંત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) અમદાવાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને ઘટનાની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી. સીએમ હાલમાં સુરતમાં હતા અને તેઓ અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. બીએસએફની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે.