મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ?

April 12, 2026

મહિલા અનામત બિલ પર કેન્દ્ર સરકાર અત્યંત સક્રિય થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દે સતત વિપક્ષી દળો પાસેથી સમર્થનની માંગ કરી રહ્યા છે. શનિવારે બંને ગૃહોમાં તમામ પક્ષોના ફ્લોર લીડર્સ(રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરનારા)નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, PM મોદીએ રાજકીય પક્ષોને પત્ર લખીને આ બિલ પર સમર્થન માંગ્યું છે. વડાપ્રધાને પોતાના પત્રમાં આગામી સપ્તાહે મહિલા અનામત બિલોને સર્વસંમતિથી પસાર કરાવવા માટે તેમનો ટેકો માંગ્યો છે.
આ બિલોનો હેતુ 2029થી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાનો છે. જો કે PM મોદીના પત્ર પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સરકાર રાજકીય ફાયદા માટે મહિલા અનામત કાયદાના અમલીકરણમાં ઉતાવળ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને કહ્યું કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. આ દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવું એ ધારણાને બળ આપે છે કે સરકાર રાજકીય ફાયદા માટે મહિલા અનામત કાયદાને લાગુ કરવામાં ઉતાવળ કરી રહી છે. વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં ખડગેએ એ માંગ કરી કે સીમાંકન મુદ્દે ચર્ચા કરવા માટે 29 એપ્રિલ પછી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવે. આ સીમાંકનને નારી શક્તિ વંદન અધિનિયમ, 2023માં સુધારાઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.