સિદ્દીકીની હત્યા કેસમાં ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ : ઝિશાન

January 28, 2025

મુંબઈ - મહારાષ્ટ્ર રાજ્યના વાંદ્રે પશ્ચિમ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીની હત્યાની તપાસના સંદર્ભે તેમના પુત્ર ઝીશાન સિદ્દીકીએ પોલીસને કેટલાક નામ આપ્યા છે. તેમણે ભાજપના નેતા મોહિત કંબોજનું નામ પણ આપ્યું હતું, પરંતુ તેમણે હત્યામાં કોઈ પણ પ્રકારની સંડોવણીનો ઇનકાર કર્યો છે. કંબોજે એક નિવેદનમાં કહ્યું કે, 'ઝીશાન સિદ્દીકી આ મુદ્દાને વધુ ઉપસાવી રહ્યા છે. તેના માટે તેમણે હકીકતોને સરળતાથી તોડી- મરોડીને રજૂ કરી છે. બાબા તો મારા સારા મિત્ર હતા. ગયા વર્ષે તેમની હત્યા થઈ તે દિવસે અમારી વાત થઈ હતી. હું બાંદ્રામાં રહેતો હોવાથી તેમને છેલ્લા 15 વર્ષથી ઓળખતો હતો. અમે NDAનો ભાગ હતા અને ઘણીવાર રાજકીય અને બિન-રાજકીય મુદ્દાઓ પર વાત કરતા હતા.'

મોહિત કંબોજે કહ્યું કે, 'બાબા સિદ્દિકી હત્યા કેસમાં જે ચાર્જશીટ દાખલ કરેલ છે, તેમાં મારું નામ નથી. તેમણે કહ્યું, 'ઝિશાનનું કહેવું છે કે, જ્યારે બાબાની હત્યા થઈ એટલે કે, 12 ઓક્ટોબર 2024ના રોજ મેં બાબા સાથે વાત કરી હતી. એ સાચું છે. અમે બંને અઠવાડિયામાં ઓછામાં ઓછા બે થી ચાર વાર રાજકારણ અને અન્ય મુદ્દાઓ પર વાત કરતાં હતા. તેમની હત્યા અમારા માટે આઘાતજનક હતી.'

તેમણે કહ્યું કે, 'હું તે દિવસે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે હોસ્પિટલમાં પણ ગયો હતો. અને પોલીસે બાબા સિદ્દિકી હત્યા કેસના તમામ તથ્યો બહાર લાવવા જોઈએ. આ હત્યામાં સંડોવાયેલા તમામ ગુનેગારોને કડકમાં કડક સજા મળવી જોઈએ.'