રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત

June 25, 2026

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં કલા જગતની જાણીતી હસ્તીઓને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બીજા તબક્કામાં કલા, સિનેમા અને સંગીત ક્ષેત્રે અપ્રતિમ યોગદાન આપનાર 65 મહાનુભાવોને આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ એનાયત કર્યા હતા. 
અલ્કા યાજ્ઞિક, પદ્મ ભૂષણ : સંગીત જગતમાં છેલ્લા ચાર દાયકાથી પોતાના સદાબહાર અવાજથી શ્રોતાઓના દિલ પર રાજ કરનાર દિગ્ગજ સિંગર અલ્કા યાજ્ઞિકને 'પદ્મ ભૂષણ' સન્માનથી નવાજવામાં આવ્યા છે.
આર. માધવન, પદ્મશ્રી : અભિનેતા અને ફિલ્મમેકર આર. માધવનને સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદાન બદલ 'પદ્મશ્રી' ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ ગૌરવપૂર્ણ ક્ષણના સાક્ષી બનવા માટે તેમના પત્ની અને પુત્ર પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહ્યા હતા.
મમૂટી, પદ્મ ભૂષણ : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર અને પાંચ દાયકાથી વધુ લાંબી ફિલ્મી સફર ખેડી ચૂકેલા મલયાલમ સુપરસ્ટાર મમૂટીને પણ 'પદ્મ ભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. પિતાના આ ઐતિહાસિક સન્માનને વધાવવા માટે તેમનો પુત્ર અને જાણીતો અભિનેતા દુલકર સલમાન પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
સતીશ શાહ, મરણોપરાંત પદ્મશ્રી ઍવૉર્ડ : ભારતીય સિનેમા, ટીવી અને થિયેટર જગતના લોકપ્રિય કલાકાર અને અદ્ભુત કોમેડિયન દિવંગત સતીશ શાહને મરણોત્તર 'પદ્મશ્રી' એનાયત કરાયો છે. તેમના ભાઈ અરવિંદ શાહે રાષ્ટ્રપતિ પાસેથી આ ઍવૉર્ડ સ્વીકાર્યો ત્યારે ઉપસ્થિત ચાહકો અને કલાકારો ભાવુક બન્યા હતા.