ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ

April 30, 2026

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાણીએ સાબિત કરી દીધું છે કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય પરંતુ તેઓ પોતાની ભારતીય પરંપરાઓથી વિમુખ નથી થયા અને તેમનું દિલ આજે પણ હિન્દુસ્તાની છે. બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીય હાલમાં અમેરિકાના પ્રવાસે છે, ત્યારે મમદાણીએ બુધવારે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો કે જો મારી કિંગ ચાર્લ્સ સાથે વાતચીત થશે તો તે માત્ર ઔપચારિક નહીં હોય. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મમદાણીને પૂછવામાં આવ્યું કે, તમે રાજાને શું કહેશો? ત્યારે તેમણે સામાન્ય શિષ્ટાચાર છોડીને બ્રિટનને તેના કાળા ભૂતકાળની યાદ અપાવી કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

મમદાણીએ કોઈપણ ખચકાટ વિના કહ્યું કે, 'જો હું રાજા સાથે વાત કરું... તો હું કદાચ તેમને ભારતનો કોહિનૂર હીરો પરત કરવા માટે કહીશ.'

નોંધનીય છે કે, મમદાણીના માતા મીરા નાયર ભારતમાં જન્મ્યા હતા અને અભ્યાસ માટે અમેરિકા ગયા હતા. ત્યારબાદ તેઓ યુગાન્ડામાં મેયરના પિતા મહમૂદ મમદાણી સાથે રહ્યા હતા. સામાન્ય રીતે મેયર અને બ્રિટિશ રાજવી પરિવાર વચ્ચેની વાતચીત કડક નિયમો અને "નરમ રાજદ્વારી" હેઠળ થતી હોય છે, પરંતુ મમદાણીના નિવેદને આ ચર્ચામાં ઈતિહાસનો મુદ્દો જોડી દીધો છે.

મમદાનીના આ નિવેદન બાદ બ્રિટનના રાજા કિંગ ચાર્લ્સ તૃતીય અને તેમના પત્ની ક્વીન કેમિલા બુધવારે ન્યૂયોર્કના વન વર્લ્ડ ટ્રેડ સેન્ટર ગયા હતા, જ્યાં 11 સપ્ટેમ્બર 2001ના આતંકી હુમલાની 25મી વરસી મનાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં મમદાણી પણ સામેલ થયા હતા.

કોહિનૂર માત્ર એક હીરો નથી, પરંતુ તે સાંસ્કૃતિક ગૌરવ અને પીડા બંનેનું પ્રતીક છે. ભારતની કોલ્લૂર ખાણમાંથી નીકળેલો આ હીરો (કટિંગ પહેલા) અંદાજે 186 કેરેટનો હતો અને તે મુઘલો તથા શીખ સહિત અનેક ભારતીય રાજવંશો પાસે રહ્યો હતો. 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ બાદ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ 10 વર્ષના મહારાજા દલીપ સિંહ પાસે બળજબરીથી લાહોરની સંધિ પર હસ્તાક્ષર કરાવ્યા હતા, જેના હેઠળ આ હીરો રાણી વિક્ટોરિયાને આપી દેવામાં આવ્યો હતો.