ઈઝરાયલ-ઈરાન વચ્ચે ભયાનક સ્થિતિ, ફ્લાઈટ કેન્સલ થતા 61 ભારતીયો ફસાયા

June 14, 2025

રાજસ્થાનના 61 નાગરિકો જ્યોર્જિયામાં ફસાયા


ઈઝરાયલ-ઈરાને એકબીજા પર ભયાનક હુમલાઓ કરતા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંભવિત યુદ્ધને ધ્યાને રાખી અનેક દેશોની એરલાઈન્સે તમામ ફ્લાઈટે રદ કરી દીધી છે, જેના કારણે વિદેશોમાં મોટી સંખ્યામાં ભારતીય ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજસ્થાનથી ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશનના 61 રાજસ્થાની નાગરિકો જ્યોર્જિયા ગયા છે, જેઓ તણાવના કારણે ત્યાં જ ફસાઈ ગયા છે. એસોસિએશને સીએની ટીમને જ્યોર્જિયામાં કોન્ફરન્સમાં સામેલ થવા મોકલી હતી. જોકે ઈઝરાયલ અને ઈરાક વચ્ચે હુમલાઓ વધતા, ટીમ અને તેમના પરિવારનો લોકો ત્યાં જ અટવાઈ ગયા છે. ફસાયેલા લોકોની મદદ કરવા માટે જેલસમેરના સીએ ભાવિક ભાટીયાએ સરકારને ટ્વિટ કરીને મદદ માંગી છે. તેમણે પીએમઓ નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર સહિત અન્ય લોકોને ટ્વિટ કરીને ફસાયેલા લોકોને ત્યાંથી બહાર કાઢવા માટે વિનંતી કરી છે.


રાજસ્થાન ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશનના 61 લોકોની ટીમ પરિવાર સાથે 8 જૂનની ફ્લાઈટમાં જયપુરથી જ્યોર્જિયા ગઈ હતી. જ્યોર્જિયાના ત્બિલિસી શહેરમાં રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સનું આયોજન કરાયું હતું, જેમાં સામેલ થવા માટે આ લોકો ત્યાં ગયા હતા. 61 નાગરિકોમાં ત્રણ બાળકો પણ સામેલ છે. આ તમામ લોકો 13 જૂને પરત ફરવાના હતા, જોકે સંભવિત યુદ્ધના કારણે તમામ ફ્લાઈટો રદ થતા તમામ 61 નાગરિકો જ્યોર્જિમાં ફસાઈ ગયા છે.