સરકાર મદદ નહીં કરે તો અમે ઔરંગઝેબની કબર હટાવી દઈશું -બજરંગ દળનું અલ્ટીમેટમ

March 16, 2025

સંભાજીનગર : ઔરગઝેબની કબરનો વિવાદ દેશભરમાં ચર્ચાઈ રહ્યો છે, ત્યારે બજરંગ દળે મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, સરકાર સમય પહેલા ઔરંગઝેબની કબર હટાવી દે. જો સરકાર નહીં હટાવે તો કારસેવા કરીને તેને હટાવવામાં આવશે. બજરંગ દળના નેતા નિતિન મહાજને કહ્યું કે, સંભાજીનગરમાં છત્રપતિ સંભાજી મહારાજના હત્યારાની કલંકિત કબર છે અને તેને પૂજવામાં આવી રહી છે, તે કબરને હટાવવામાં આવે. મહાજને કહ્યું કે, સંભાજીનગરમાં (ઔરંગઝેબની કબર) કબરની પૂજા કરવામાં આવી રહી છે. સંભાજીની હત્યા કરનારની કબર બનાવવામાં આવી રહી છે. જ્યારે આવી કબરોની પૂજા કરવામાં આવે છે, ત્યારે સમાજનો વિકાસ પણ એ રીતે થાય છે.. તે સમયે આપણે લાચાર હતા, પરંતુ હવે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ માંગ કરી રહ્યા છે કે તેને દૂર કરવામાં આવે. 17 માર્ચે અમે સરકાર પાસે માંગ કરીશું કે, કબરને દૂર કરવામાં આવે. જો સરકાર તેને દૂર કરે તો અમે તેમનું સ્વાગત કરીશું, પરંતુ જો તેમ નહીં થાય, તો વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ રસ્તાઓ પર ઉતરી આવશે અને વિશાળ આંદોલન શરૂ કરશે.

તેમણે વધુમાં કહ્યું કે, આપણે જાણીએ છીએ કે, જ્યારે હિન્દુ સમુદાય તેના અસ્તિત્વ અંગે આંદોલન કરે છે ત્યારે શું થાય છે, આપણે બધાએ જોયું કે બાબરી મસ્જિદને દૂર કરવા માટે અયોધ્યામાં શું થયું. જો સરકાર કબરને દૂર નહીં કરે, તો આપણે કારસેવા કરીશું. આ પહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા અને ગોશામહલના ધારાસભ્ય ટી.રાજા સિંહે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને પત્ર લખીને મુઘલ સમ્રાટ ઔરંગઝેબના જાળવણી માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ફાળવવામાં આવેલા અને ખર્ચવામાં આવેલા ભંડોળ અંગે વિગતવાર માહિતી માંગી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, આવેદન આપ્યા બાદ અમે પછી જોઈશું કે, સરકાર શું વિચાર કરીને પગલા લે છે. જો કબર હટાવવામાં નહીં આવે તો અમે પ્રજાને લઈને રસ્તા પર ઉતરી આંદોલન કરીશું. હિન્દુ સમાજ અસ્તિત્વ અને શૌર્ય માટે આંદોલન કરે છે.