ભાજપનું વ્યૂહાત્મક પગલું, બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર બનશે પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી

April 19, 2026

આગામી ચૂંટણીના સમીકરણો પર અસર કરી શકે


દિલ્હી : ભારત સરકારે દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં પોતાના નવા હાઈકમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અનેક મહત્વના મુદ્દાઓ પર વાતચીત ચાલી રહી છે અને બંને દેશો પોતાના સંબંધોને સંતુલિત અને મજબૂત જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય રેલ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા દિનેશ ત્રિવેદીની આ નિમણૂક રાજકીય રીતે પણ મહત્વની માનવામાં આવી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના રાજકારણને ધ્યાનમાં રાખતા તેને ભાજપનું એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જે આગામી ચૂંટણીના સમીકરણો પર અસર કરી શકે છે. દિનેશ ત્રિવેદીની રાજકીય કારકિર્દી અનેક મહત્વના પડાવમાંથી પસાર થઈ છે. ભાજપમાં આવ્યા પહેલા તેઓ તૃણમૂલ કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં સામેલ હતા અને આ જ પાર્ટીના ક્વોટામાંથી સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (UPA) સરકારમાં રેલ મંત્રી બન્યા હતા. જોકે, બાદમાં તેમણે TMC થી અંતર જાળવી લીધું અને વર્ષ 2021માં ભાજપનો સાથ પકડ્યો. દિનેશ ત્રિવેદી હવે પ્રણય વર્માના સ્થાને બાંગ્લાદેશમાં ભારતના હાઈકમિશનરની જવાબદારી સંભાળશે. જ્યારે પ્રણય વર્માને હવે બ્રસેલ્સ મોકલવામાં આવી રહ્યા છે, જ્યાં તેઓ યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળશે. આ ફેરફાર ભારતની રાજદ્વારી વ્યૂહનીતિનો એક ભાગ માનવામાં આવે છે. બાંગ્લાદેશમાં હાલના વર્ષોમાં થયેલા રાજકીય ફેરફારોની અસર ભારત સાથેના સંબંધો પર પણ પડી છે. શેખ હસીના સત્તા પરથી હટ્યા બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી સરકાર બની હતી. આ દરમિયાન હિન્દુ સમુદાય સામે હિંસાની ઘટનાઓ સામે આવી, જેનાથી બંને દેશોના સંબંધોમાં તણાવ વધ્યો હતો. હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ બાદ તારિક રહેમાન વડાપ્રધાન બનતા ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં ફરી સુધારાના સંકેત મળ્યા છે. UPA શાસન દરમિયાન દિનેશ ત્રિવેદીએ રેલ મંત્રી ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી. પરંતુ વર્ષ 2012માં રેલ બજેટ દરમિયાન મુસાફરોના ભાડામાં વધારો કરવાના પ્રસ્તાવથી મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો. આ નિર્ણયનો મમતા બેનર્જીએ સખત વિરોધ કર્યો હતો અને અંતે ત્રિવેદીને પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. બાદમાં તેમના સ્થાને મુકુલ રોયને રેલ મંત્રી બનાવવામાં આવ્યા હતા.