ઈરાનના એક નિર્ણયથી ભારત સામે મોટી મુસીબત, યુદ્ધ લાંબુ ચાલશે તો થશે મોટું આર્થિક નુકસાન

June 14, 2025

ઈઝરાયલે શુક્રવારે (13મી જૂન) ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલા બાદ ઈરાની હવાઈ ક્ષેત્ર અનિશ્ચિત સમય માટે બંધ થવાથી આંતરરાષ્ટ્રીય ઉડાન માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતીય વિમાનો માટે પણ આની અસર થઈ છે. કારણ કે પાકિસ્તાનમાં એરબેઝ પહેલેથી જ બંધ છે. અહેવાલો અનુસાર, ઈઝરાયલી હુમલા પછી પશ્ચિમ એશિયામાં તણાવને પગલે ઈરાને એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો, તેથી ઈરાક અને જોર્ડને પણ વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દીધા. જેને લઈને એર ઈન્ડિયા અને અન્ય એરલાઈન્સ માટે સંચાલન, નાણાકીય અને લોજિસ્ટિકલ પડકારો ખૂબ ગંભીર અને આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. ઈઝરાયલે બેન ગુરિયન એરપોર્ટથી ફ્લાઇટ્સનું સંચાલન બંધ કરવાની જાહેરાત કરી છે. જેથી આંતરરાષ્ટ્રીય હવાઈ કોરિડોર પર અસર પડી છે અને તેના કારણે એરલાઇન્સ લાંબા અને વધુ ખર્ચાળ વૈકલ્પિક રૂટ અપનાવી રહી છે. ભારતથી યુરોપ, ઉત્તર અમેરિકા અને ખાડી દેશોના મુખ્ય આંતરરાષ્ટ્રીય રૂટ પર ઉડતી ફ્લાઇટ્સ પાકિસ્તાનના એરસ્પેસથી બચીને ઈરાન અને ઈરાક થઈને નીકળી હતી. પરંતુ હવે આ વિકલ્પ રહ્યો નથી.  ઈરાન, ઇરાકે દ્વારા એરસ્પેસ બંધ કરવાને કારણે, ફ્લાઇટ્સને સાઉદી અરેબિયા, મધ્ય એશિયાઈ દેશો અને કાકેશસ પ્રદેશમાંથી પસાર થવું પડી રહ્યું છે. આનાથી ફ્લાઇટનો સમય લાંબો થશે, લોકોને સ્પષ્ટ અસુવિધા થશે અને ખર્ચ વધશે. આ પરિસ્થિતિથી એર ઇન્ડિયા સ્વાભાવિક રીતે સૌથી વધુ પ્રભાવિત થશે. તેણે 11 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો રૂટ બદલવો પડ્યો છે, જ્યારે પાંચ ફ્લાઇટ્સ પ્રસ્થાન એરપોર્ટ પર અધવચ્ચે જ પરત ફરી છે.