લોકોને સરકારથી ભીખ માંગવાની ટેવ પડી ગઈ છે : ભાજપ નેતાનું વિવાદિત નિવેદન

March 02, 2025

રાજગઢ : મધ્ય પ્રદેશના પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી પ્રહલાદ પટેલે રાજગઢમાં એક સભા દરમિયાન સરકાર પાસેથી મદદ માંગવાની લોકોની આદત પર સવાલ ઊઠાવ્યા છે. શનિવારે (પહેલી માર્ચ) સુઠાલિયામાં રાણી અવંતિ બાઈ લોધીની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે તેમણે કહ્યું કે, 'લોકો સરકાર પાસેથી ભીખ માંગવા ટેવાયેલા થઈ ગયા છે. લોકો નેતાઓને માળા પહેરાવે છે અને તેમની માંગણીઓ ધરાવતો પત્ર આપે છે.' હવે આના પર વિપક્ષી પાર્ટી કોંગ્રેસ હવે આક્રમક બની ગઈ છે.
રાજગઢમાં રાણી અવંતિબાઈ લોધીની પ્રતિમાના અનાવરણ પ્રસંગે પ્રહલાદ પટેલે લોકોને સંબોધિત કર્યા. તેમણે સરકાર પાસેથી વધુ પડતી મદદની અપેક્ષા રાખતા લોકો પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, 'લોકો નેતાઓને મળવા જાય છે, તેમને માળા પહેરાવે છે અને તેમને એક પત્ર આપે છે જેમાં તેમની માંગણીઓ લખેલી હોય છે. આ સારી આદત નથી.' મંત્રી પ્રહલાદ પટેલે જાહેર સભામાં જણાવ્યું  'મફત વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ એ બહાદુર મહિલાઓ માટે આદર નથી. સમાજ ફક્ત મૂર્તિઓ સ્થાપિત કરવાથી બદલાતો નથી, પરંતુ મહાપુરુષોના આદર્શોને અનુસરવાથી પરિવર્તન આવે છે. આ કાર્યક્રમમાં ઘણાં અન્ય નેતાઓ અને જનપ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.'


મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા જીતુ પટવારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું, 'ભાજપનો ઘમંડ હવે જનતાને ભિખારી કહી રહ્યો છે. આ દુ:ખમાં ડૂબેલા લોકોની આશાઓ અને આંસુઓનું અપમાન છે. તે ચૂંટણી દરમિયાન ખોટા વચનો આપે છે અને પછી પાછા ફરે છે. જ્યારે જનતા તેમને તેમના વચનોની યાદ અપાવે છે, ત્યારે તેઓ તેમને ભિખારી કહેવામાં અચકાતા નથી. યાદ રાખો કે થોડા સમય પછી, ભાજપના આવા ચહેરાઓ તમારા ઘરઆંગણે મત માંગવા આવશે.'