PM, CM, મંત્રી, નેતા કે અધિકારી...તમામની સંપત્તિ તપાસાશે, નેપાળમાં બાલેન શાહનો માસ્ટરસ્ટ્રોક

May 01, 2026

કાઠમંડુ : નેપાળની બાલેન શાહ સરકારે ભ્રષ્ટાચારીઓ સામે અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર કરતા 'સંપત્તિ તપાસ પંચ'(Property Investigation Commission)ની રચના કરી છે. આ પંચ દ્વારા વર્તમાન અને પૂર્વ વડાપ્રધાન, મંત્રીઓ, સાંસદો અને ઉચ્ચ સરકારી અધિકારીઓની સંપત્તિની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.  સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રાજેન્દ્ર કુમાર ભંડારીના અધ્યક્ષપદ હેઠળ પાંચ સભ્યોના પંચની રચના કરવામાં આવી છે. પંચે શુક્રવારથી વિધિવત કામગીરી શરૂ કરી દીધી છે. આ પંચનો કાર્યકાળ એક વર્ષનો રહેશે અને તે તબક્કાવાર રીતે પોતાનો રિપોર્ટ સોંપશે. નેપાળ સરકાર તરફથી રચાયેલી સમિતિએ શુક્રવારથી કામ કરવાની શરૂઆત કરી દીધી છે. બે અઠવાડિયા અગાઉ રચાયેલા આ સમિતિનો કાર્યાદેશ ગુરુવારે રાત્રે રાજપત્ર પર નોટિફાઇ કરવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના હોદ્દાને આ યાદીમાંથી બહાર રખાયા છે, પરંતુ તેમના સચિવાલયના અધિકારીઓની તપાસ થશે. સેનાના હાલના અધિકારીઓને બહાર રખાયા છે, પણ નિવૃત્ત સૈન્ય અધિકારીઓની તપાસ થશે. વર્તમાન ન્યાયાધીશોને બાકાત રાખી તમામ નિવૃત્ત જજોની સંપત્તિની તપાસ કરવામાં આવશે.


સરકારી આદેશ અનુસાર, જાહેર પદ પર રહેલા અથવા નિવૃત્ત અધિકારીઓ અને તેમના પરિવારના નામે દેશ-વિદેશમાં રહેલી સંપત્તિની તપાસ થશે. ઉપરાંત પૂર્વ પીએમ કે પી શર્મા ઓલી, શેર બહાદુર દેઉબા, પુષ્પકમલ દહાલ 'પ્રચંડ', બાબુરામ ભટ્ટરાઈ અને ઝલનાથ ખનાલ સહિત તમામ પૂર્વ વડાપ્રધાનો, મંત્રીઓ અને સાંસદો તથા મુખ્ય સચિવથી લઈ સહ-સચિવ સુધીના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ, ઇન્ટેલિજન્સ બ્યુરો અને વિદેશી દૂતાવાસોના વડાઓની તમામ મિલકતોની તપાસ કરાશે. નેપાળ રાષ્ટ્ર બૅંકના ગવર્નર, સરકારી બૅંકો, યુનિવર્સિટીઓ અને જાહેર સંસ્થાઓના ઉચ્ચ હોદ્દેદારોની સંપતીની પણ ચકાસણી કરવા આદેશ થયા હતા.