75 વર્ષ પૂર્ણ થતાં સોમનાથ મંદિરના અમૃત પર્વમાં વડાપ્રધાન મોદી સહભાગી થયા, 75 રૂપિયાનો સિક્કો જાહેર કર્યો
May 11, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસના બીજા દિવસે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના શરણે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ અમૃતપર્વ-2026'માં વડાપ્રધાને વિશેષ ઉપસ્થિતિ નોંધાવી 75 રૂપિયાનો સ્મારક સિક્કો જાહેર કર્યો હતો. આ સિક્કો 99.9 ટકા શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવ્યો છે, જેનું વજન 40 ગ્રામ અને વ્યાસ 44 મિલીમીટર છે. સિક્કાની આગળની બાજુએ અશોક સ્તંભ અને પાછળની બાજુએ સોમનાથ મંદિરની ભવ્ય આકૃતિ કંડારવામાં આવી છે.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ભાવુક સંબોધન કરતા જણાવ્યું હતું કે, તેઓ અહીં માત્ર 75 વર્ષની ઝાંખી નથી જોઈ રહ્યા, પરંતુ વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યા છે. તેમણે આ સ્થળને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક ગણાવ્યું હતું. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, અહીં હજારો વર્ષો સુધી ફેલાયેલી એવી આધ્યાત્મિક ચેતના છે જેણે સમગ્ર માનવતાના કલ્યાણનો દ્રષ્ટિકોણ રાખ્યો છે. તેમણે સોમનાથને ભારતનો એક એવો અવિનાશી સાર ગણાવ્યો હતો જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.
સોમનાથ મંદિરના સાનિધ્યમાં કલા, સંગીત અને મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાને આ ક્ષણને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે સંબોધનમાં કહ્યું કે, કલા, સંગીત અને નૃત્યના મનોહર પ્રદર્શન સાથે વૈદિક મંત્રોના પવિત્ર જાપ અને ગર્ભગૃહમાં શિવપંચાક્ષરીના સતત પાઠથી એક અનોખી સુખદ અનુભૂતિ થઈ રહી છે. સમુદ્રના મોજાઓના ગૂંજતા જયઘોષ સાથે જાણે આખું બ્રહ્માંડ એક સૂરમાં ‘જય સોમનાથ’ બોલી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. આમ, જામનગરની મુલાકાત બાદ વડાપ્રધાને સોમનાથમાં શ્રદ્ધાપૂર્વક અમૃત પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો.
Related Articles
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવા...
May 10, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રા...
May 09, 2026
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમ...
May 09, 2026
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026