ગ્લોબલ વોર્મિંગના રહસ્યો ખોલનાર ભારતીય વૈજ્ઞાનિક રામનાથન મળશે ક્રાફોર્ડ પુરસ્કાર

February 02, 2026

ભારતીય મૂળના વૈજ્ઞાનિક વીરભદ્રન રામનાથનને વર્ષ 2026 માટેનો પ્રતિષ્ઠિત ક્રાફોર્ડ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કારને જિઓસાયન્સનું નોબેલ પણ કહેવામાં આવે છે. તેમણે ક્લોરોફ્લોરોકાર્બન અને પ્રદૂષણના જળવાયુ પર પડતા પ્રભાવ અંગે મહત્વપૂર્ણ શોધો કરી છે. તેમની સંશોધન કામગીરીએ ગ્લોબલ વોર્મિંગને સમજવામાં અને પર્યાવરણ બચાવવા માટેની આંતરરાષ્ટ્રીય સંધિઓ ઘડવામાં મોટી ભૂમિકા ભજવી છે.

82 વર્ષીય વીરભદ્રન રામનાથને 1975માં નાસામાં કામ કરતી વખતે એક ચોંકાવનારી શોધ કરી હતી. તે સમયે સમગ્ર વિશ્વ એવું માનતું હતું કે ગ્લોબલ વોર્મિંગ માટે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. પરંતુ રામનાથને સાબિત કર્યું કે ફ્રિજ અને એરોસોલ સ્પ્રેમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન વાયુઓ ની તુલનામાં 10,000 ગણી વધુ ઝડપથી ગરમીને શોષી લે છે. આ શોધે જળવાયુ પરિવર્તનને જોવાનો વિશ્વનો દૃષ્ટિકોણ કાયમ માટે બદલી નાખ્યો.

રામનાથનનો જન્મ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો અને તેમનો અભ્યાસ ચેન્નઈમાં થયો હતો. રસપ્રદ વાત એ છે કે, તેમની કારકિર્દીની શરૂઆત સિકંદરાબાદની એક ફ્રિજ ફેક્ટરીમાં એન્જિનિયર તરીકે થઈ હતી. અહીં જ તેમણે પ્રથમ વખત એ વાયુઓ પર કામ કર્યું હતું જે પાછળથી તેમના જીવનના સંશોધનનો મુખ્ય વિષય બન્યા. ત્યારબાદ તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ  માંથી ઉચ્ચ શિક્ષણ મેળવી અમેરિકા તરફ પ્રયાણ કર્યું હતું.