ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લોકોના મોત, 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ

July 01, 2025

ઈઝરાયલ અને હમાસ વચ્ચે સીઝફાયરની ચર્ચાઓ વચ્ચે ગાઝા પર હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયલે સોમવારે જ ગાઝામાં સ્થિત કેફે, સ્કૂલ અને ભોજન વિતરણ સ્થળે હુમલો કરતાં આશરે 94 લોકો માર્યા ગયા હતાં. યુનાઈટેડ નેશન્સના રિપોર્ટ અનુસાર, છેલ્લા 15 દિવસમાં ઈઝરાયલના હુમલામાં ગાઝાના 1000થી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયલના હુમલાના કારણે ગાઝામાં રહેતાં 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ ઊભું થયું છે.  ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો 7 ઓક્ટોબર, 2023થી અત્યાર સુધીમાં હુમલામાં 56500 પેલેસ્ટિનિયન મોતને ભેટ્યા છે. ખાલિદ ખેરીએ જણાવ્યું હતું કે, ગાઝામાં પીડા અને ક્રૂરતાનું સ્તર અસહ્ય છે. પેલેસ્ટિનિયનને સામૂહિક ધોરણે મારવામાં આવી રહ્યા છે. ગઈકાલે સોમવારે ઈઝરાયલે ગાઝા પર હુમલો કરતાં કુલ 95 લોકોના મોત થયા હતાં. જેમાંથી 39ના મોત તો એક કેફેમાં જ થયા હતાં. દરિયાકિનારે આવેલા અલ-બાકા કેફે નજીક હુમલો થતાં 30 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં. આ કેફેમાં ભોજન નહીં પણ મોબાઈલ ચાર્જ અને ઈન્ટરનેટ કનેક્શન મળી રહ્યું હતું. જ્યાં એક સ્થાનિક પત્રકાર ઈસ્માઈલ અબુ હતબ પણ માર્યા ગયા હતાં. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, ઈઝરાયલના ફાઈટર જેટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલના સૈન્ય દળોએ કોઈપણ પ્રકારનું એલર્ટ આપ્યા વિના જ ગઈકાલે હુમલા કર્યા હતાં. તેમણે ટેન્ટમાં આશરો લઈ રહેલા શરણાર્થીઓને ટાર્ગેટ બનાવ્યા હતાં. ટેન્ટમાં લાશોના ઢગલાં જોવા મળ્યા હતાં. ઝૈતોન વિસ્તારમાં ભોજન વિતરણ કરતા વેરહાઉસ પર હવાઈ હુમલો કર્યો હતો. જ્યાં 13 લોકો માર્યા ગયા હતાં. આ સિવાય ગાઝાના યાફા શાળામાં પણ બોમ્બ ફેંક્યો હતો.