ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં: ફરી ટીમ વોશિંગ્ટન જશે

July 11, 2025

અમેરિકા અને ભારત વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય વેપાર કરારની બેઠકો અંતિમ તબક્કામાં હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું છે. બંને દેશો વચ્ચે વાત માત્ર કૃષિ અને ઓટો સેક્ટરમાં ટેરિફ મુદ્દે અટવાઈ છે. જેને ઉકેલવા માટે ભારતીય પ્રતિનિધિઓ આગામી સપ્તાહે વોશિંગ્ટન જઈ શકે છે. 7 જુલાઈના રોજ વિશેષ સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારત અમેરિકા સાથે કરાર મુદ્દે વાતચીતને અંતિમ રૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વ હેઠળ ભારતીય પ્રતિનિધિઓ આગામી સપ્તાહે વોશિંગ્ટન જવા રવાના થઈ શકે છે. હાલ 4 જુલાઈએ જ ભારતીય પ્રતિનિધિઓની ટીમ અંતિમ તબક્કાની વાતચીત પૂર્ણ કરી અમેરિકાથી પરત ફરી હતી. તે સમયે ટેરિફ લાગુ કરવાની ડેડલાઇન 9 જુલાઈ હતી. પરંતુ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાની નવી ડેડલાઈન 1 ઑગસ્ટ આપતાં ભારતને વેપાર કરાર મુદ્દે નિર્ણયો લેવા માટે વધુ સમય મળ્યો છે.
અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર કૃષિ અને ડેરી પ્રોડક્ટ્સ, અને ઓટો સેક્ટરમાં ટેરિફ મુદ્દે વાત અટવાઈ છે. અમેરિકા ભારતનું ડેરી અને કૃષિ બજાર ખુલ્લું મૂકવાની માગ કરી રહ્યું છે. જેના બદલામાં અમેરિકા ભારત દ્વારા નિકાસ થતાં કાપડ, જૂતા-ચપ્પલ પર ટેરિફ ઘટાડશે. ઓટો મોબાઇલ સેક્ટરમાં પણ રાહતોની માગ છે. ભારતે કપડાં, જેમ્સ-જ્વેલરી, ચામડું, પ્લાસ્ટિક અને કેમિકલ જેવા ક્ષેત્રોમાં અમુક રાહતોની માગ કરી છે.