બે પુત્રીઓ લંડનમાં, પત્નીનું અસ્થિ વિસર્જન કરવા આવેલા પતિનું અવસાન

June 13, 2025

મૃતક અર્જુનભાઈ પત્નીના અંતિમ સંસ્કાર કરવા ગુજરાત આવ્યા હતા

બે દીકરીઓએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી, સાત દિવસ પહેલા અર્જુનભાઈના પત્નીનું અવસાન થયું હતું
અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે (12 જૂન) એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ઘટનામાં 242 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક પરિવારોએ આત્મીય સ્વજનોને ગુમાવ્યા છે. કેટલાક પરિવારે દીકરી ગુમાવી છે, તો કેટલાકે પતિ કે પછી પત્નીને ગુમાવ્યા છે. ઘટનામાં માતા-પિતા સહિત બાળકોના પણ મોત થયા છે, ત્યારે મૃતકોમાંથી એક લંડનમાં રહેતા 38 વર્ષિય અર્જુન પટોલિયાને લઈને પણ એક દુઃખદ વાત સામે આવી છે.
અર્જુન પટોલિયા થોડા દિવસ પહેલા ભારત આવ્યા હતા અને અહીં તેમણે પત્નીના અંતિમ સંસ્કાર કર્યા હતા. પત્નીની અસ્થીઓનું ગામના તળાવમાં વિસર્જન કર્યા બાદ તેઓ એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર-એઆઇ-171માં લંડન જવા રવાના થયા હતા, જોકે આ સફર તેમની અંતિમ સફર બની ગઈ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ અમરેલીના વડિયાના રહેવાસી અર્જુનભાઈ મનુભાઈ પટોળિયાના પત્ની ભારતીબહેનનું સાત દિવસ પહેલા લંડનમાં અવસાન થયું હતું. પત્નીની અંતિમ ઇચ્છા હતી કે, તેમની અસ્થિઓને ગુજરાતના અમરેલી જિલ્લા સ્થિત પૈતૃક ગામના તળાવમાં વિસર્જીત કરવામાં આવે, ત્યારે અર્જુનભાઈ ગુજરાત આવ્યા અને સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે પત્નીની ઇચ્છા પૂરી કરી. તેઓ ફૂલોથી સજાવેલ કળશમાં પત્નીની અસ્થિઓ લઈને ગામ પહોંચ્યા હતા અને અહીં પરિવારજનો સાથે ધાર્મિક રીતરિવાજ સાથે અસ્થિઓ વિસર્જીત કરી હતી.


ત્યારબાદ તેમણે લંડન પરત ફરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે તેમની લંડનમાં રહેતી ચાર અને આઠ વર્ષની બે દીકરીઓ તેમની રાહ જોઈ રહી હતી. જોકે દુઃખ વાત એ છે કે, 12 જૂને બપોરે અમદાવાદ ઍરપોર્ટ પરથી ટેક ઑફ થયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ અને તેમાં અર્જુનભાઈનું પણ મોત થયું. બે દીકરીઓએ પહેલાં માતાની છત્રછાયા ગુમાવ્યા બાદ હવે પિતાની પણ છત્રછાયા ગુમાવી દીધી છે. આ ઘટના સામે આવ્યા બાદ અનેક લોકોનું કાળજું કંપી ગયું છે.