કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન

September 14, 2026

બનાસકાંઠા તેમજ વાવ-થરાદ વિસ્તારમાં આવેલી IRM ગેસ કંપની અને સીએનજી પંપના ડીલરો વચ્ચે કમિશન વધારાની માંગણીને લઈને ગજગ્રાહ ચાલી રહ્યો છે. પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આ બંને વિસ્તારોના અંદાજિત 65 જેટલા પંપ માલિકો અને અધિકૃત ડીલરોએ આક્રમક વલણ અપનાવ્યું છે. આ નારાજગીના ભાગરૂપે સંચાલકોએ આગામી 19 ઓગસ્ટના રોજ તમામ સીએનજી પંપ બંધ રાખીને હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

કમિશન સહિતના વિવિધ મુદ્દે ડીલરો દ્વારા કંપનીને અગાઉ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પરિણામ શૂન્ય રહ્યું હતું. આ સમસ્યાના ઉકેલ માટે ગત 10 ઓગસ્ટના રોજ પાલનપુર ખાતે કંપનીના અધિકારીઓની હાજરીમાં ડીલરોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જોકે, આ મીટિંગમાં પણ ડીલરોની માંગ અંગે કોઈ નક્કર નિર્ણય ન લેવાતા મામલો વધુ ગરમાયો હતો. ત્યારબાદ 15 ઓગસ્ટે 65 પંપ માલિકોએ ફરી એકવાર એકત્ર થઈને બીજી બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી હતી.

આ મામલે સંગઠન દ્વારા ઈમેલના માધ્યમથી કંપની સમક્ષ પોતાની માંગણીઓ સત્તાવાર રીતે મૂકવામાં આવી છે. સંચાલકોએ સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું છે કે જો બુધવાર 19 ઓગસ્ટ સુધીમાં કંપની તરફથી કોઈ સંતોષકારક જવાબ નહીં મળે, તો સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે તમામ પંપ પર વેચાણ બંધ કરી દેવામાં આવશે. આટલું જ નહીં, જો ત્યારબાદ પણ માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી સપ્તાહથી અનિશ્ચિત મુદતની હડતાળ પાડવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે.

ડીલરોની મુખ્ય ફરિયાદ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સીએનજી પંપના સંચાલન પાછળ થતા ખર્ચમાં સતત વધારો નોંધાયો છે, પરંતુ તેની સામે વર્ષ 2019થી કંપની દ્વારા આપવામાં આવતા કમિશનમાં કોઈ જ વધારો કરાયો નથી અને તે યથાવત છે. આ ઉપરાંત, ગેસના ભાવમાં જોવા મળતા તફાવતને કારણે ગ્રાહકોમાં પણ અસંતોષ વ્યાપી રહ્યો છે, જેનો સીધો સામનો પંપ સંચાલકોએ કરવો પડી રહ્યો છે.