'અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં...', FIR બાદ શંકરાચાર્યનો હુંકાર

February 22, 2026

'આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી'

પ્રયાગરાજ- પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ દાખલ થતાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે.  આ અંગે તેમણે કહ્યું છે કે, મને અંદાજ હતો કે મારી વિરુદ્ધ કંઈ થશે, પરંતુ આ પ્રકારના નીચ આક્ષેપ લાગશે તેવી કલ્પના ન હતી. ગૌ હત્યારા કેટલી નીચતા પર ઉતરી રહ્યા છે, એ જોઈ શકાય છે. યોગી આદિત્યનાથ જેવા લોકો આવું કરી શકે, તો હવે અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે જે રોકાશે નહીં. બોમ્બ ગોળા સામેથી આવી રહ્યા છે.’


આ બાદ શંકરાચાર્યએ આગળની કાર્યવાહી અને તપાસમાં પૂરતો સહયોગ આપવાની તૈયારી દર્શાવતા કહ્યું કે, 'અમે સંપૂર્ણ સહયોગ માટે તૈયાર છીએ, કોઈના પર પણ ખોટો આરોપ લાગે તો કોઈ પણ સિદ્ધ કરવા માટે તૈયાર રહે છે, આ બાદ ધરપકડ પર પણ સવાલ કરવામાં આવ્યો જેના જવાબમાં જણાવ્યું કે, જે રીતે મુખ્યમંત્રીની પોલીસ કામ કરી રહી છે. બટુકોનું  અપમાન થયું છે, ધરપકડની સંભાવનાનો તે લોકો લાભ ઉઠાવી શકે છે. બધાને ખબર છે તે શું કરશે, અમે તૈયાર બેઠા છીએ, ક્યારેય ભાગ્યા હોય તો જણાવો, તે ધરપકડ કરવા માંગે છે તો હું તેમના પ્રશ્નોના જવાબ દેવા તૈયાર છું, તે અહીં પૂછપરછ કરે કે ત્યાં લઈ જઈને કરે'


ગઈકાલે 21 ફેબ્રુઆરીના રોજ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરૂદ્ધ યૌન શોષણના આરોપ મામલે એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટથી ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. તેમના શિષ્ય સ્વામી મુકુંદાનંદ ગિરી વિરૂદ્ધ પણ ફરિયાદ દાખલ કરવાનો નિર્દેશ હતો. જે બાદ આજે પ્રયાગરાજના ઝૂંસી પોલીસ સ્ટેશનમાં પોકસો એક્ટ હેઠળ યૌન શોષણની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.