અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા? મોઇત્રાના નિવેદન બાદ વિવાદ

March 29, 2026

સોશિયલ મીડિયા પર પલટવાર ગાંધી અને પટેલને ભૂલી ગયા?


કલકત્તા ઃ પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધમાં હવે બંગાળી વિરુદ્ધ ગુજરાતીનો મુદ્દો ગાજ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસ બાદ TMC સાંસદ મહુઆ મોઇત્રાએ એક એવું નિવેદન આપ્યું છે. જેનાથી સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક ન્યૂઝ કોન્ફરન્સ દરમિયાન મહુઆ મોઇત્રાએ બંગાળી સમુદાયના ગૌરવની વાત કરતા સીધો પ્રશ્ન કર્યો કે, "અમે અંગ્રેજો સામે સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કર્યું, ત્યારે ગુજરાતીઓ કોણ હતા?" તેમણે દાવો કર્યો કે કાલાપાણીમાં શહીદ થયેલા અને કેદ થયેલા લોકોમાં 68% બંગાળીઓ હતા અને ત્યારબાદ પંજાબીઓ હતા. તેમણે પડકાર ફેંકતા પૂછ્યું કે, "શું તમે મને ત્યાં હાજર રહેલા કોઈ એક ગુજરાતીનું નામ આપી શકો છો?" વધુમાં તેમણે વીર સાવરકરનો ઉલ્લેખ કરતા તેમને ગુજરાતી ગણાવ્યા, જેના પર પણ લોકોએ તેમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે, વીર સાવરકર મરાઠી હતા.


મહુઆ મોઇત્રાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ઝાટકણી કાઢી હતી. લોકો પૂછી રહ્યા છે કે શું સાંસદ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાન ગુજરાતી નેતાઓના યોગદાનને ભૂલી ગયા છે?  એક યુઝરે દાદાભાઈ નૌરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, મેડમ ભીખાઈજી કામા અને અનસૂયા સારાભાઈ સહિત 30થી વધુ ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી શેર કરી મહુઆ મોઇત્રાને તમાચો જડ્યો હતો. અન્ય યુઝર્સે ટકોર કરી કે ભારતને એકજૂથ કરનાર લોખંડી પુરુષ સરદાર પટેલ અને અહિંસાના માર્ગે આઝાદી અપાવનાર ગાંધીજી બંને ગુજરાતી હતા.