ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરું ઘડનારો સાંસદ બન્યો! બાંગ્લાદેશની ચૂંટણીમાં 3 કલંકિત નેતાઓની જીત

February 14, 2026

બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં દિવંગત પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ ભવ્ય જીત મેળવી છે. આ ચૂંટણી પરિણામોમાં સૌથી ચોંકાવનારી બાબતમાં એ ત્રણ નેતાઓનો વિજય છે, જેમને ગંભીર ગુનાઓમાં સજા મળી હતી, પરંતુ મોહમ્મદ યુનુસ દ્વારા માફી મળ્યા બાદ તેઓ હવે સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે.

ડિસેમ્બર-2024માં બાંગ્લાદેશ હાઈકોર્ટે તારિક રહેમાન સહિત અન્ય આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ મોહમ્મદ યુનુસે ગંભીર આરોપો હેઠળ સજા પામેલા ત્રણ મુખ્ય નેતાઓને માફી આપી હતી. જેમાં BNPના લુત્ફેજ્જમાં બાબર, અબ્દુસ સલામ પિંટુ અને જમાત-એ-ઇસ્લામીના અઝહરુલ ઇસ્લામનો સમાવેશ થાય છે. આ ત્રણેય નેતાઓ પર લાગેલા તમામ આરોપો હટાવી લેવામાં આવ્યા હતા.

BNP ના નેતા લુત્ફેજ્જમાં બાબર પર 21 ઓગસ્ટ 2004ના રોજ શેખ હસીના પર થયેલા ગ્રેનેડ હુમલાનો ગંભીર આરોપ હતો, જેમાં 24 લોકોના મોત થયા હતા. હાઈકોર્ટ દ્વારા બરી થયા બાદ તેઓ ચૂંટણી લડ્યા અને પોતાના પ્રતિસ્પર્ધીને 1.6 લાખ મતોની જંગી સરસાઈથી હરાવીને સંસદમાં પહોંચ્યા છે.

અબ્દુસ સલામ પિંટુ પર પણ 2004ના ગ્રેનેડ હુમલાના કેસમાં દોષિત ઠર્યા બાદ હવે કોર્ટે તેમને મુક્ત કર્યા છે. પિંટુ પર પાકિસ્તાની આતંકી સંગઠન હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી (Huji) ને સમર્થન આપવાનો પણ આરોપ હતો. આ સંગઠન ભારત સામે આતંકી કાવતરાંમાં સામેલ હતું, જેમાં 2006માં વારાણસી કોર્ટ પરિસર, 2007માં અજમેર શરીફ દરગાહ અને 2011માં દિલ્હીમાં થયેલા વિસ્ફોટોનો સમાવેશ થાય છે. પિંટુ આશરે 2 લાખ મતોની સરસાઈથી વિજેતા બન્યા છે.