પંજાબમાં ASI અને હોમગાર્ડની ગોળી મારી હત્યા, ગેંગસ્ટર કે આતંકીની સંડોવણી સંભવ

February 22, 2026

ગુરદાસપુર- ગુરદાસપુર જિલ્લામાં રવિવારે મોડી રાત્રે એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસ ચોકી પર તૈનાત બે પોલીસકર્મીઓના ગોળી વાગવાથી રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા છે. આ ઘટના સરહદી વિસ્તાર દોરાંગલાના આદિયા ગામમાં રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ બની હતી. મૃતકોની ઓળખ પંજાબ પોલીસના ASI ગુરનામ સિંહ અને હોમગાર્ડ અશોક કુમાર તરીકે થઈ છે. હાલમાં આ ગોળીબાર કોણે કર્યો તે અંગે રહસ્ય અકબંધ છે, જોકે ઘટનાસ્થળેથી બંને જવાનોના સર્વિસ હથિયારો મળી આવ્યા છે.
ઘટનાની ગંભીરતાને જોતા ગુરુદાસપુરના SSP આદિત્ય શર્મા અને ફોરેન્સિક ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ભારત-પાકિસ્તાન સરહદ નજીકનો વિસ્તાર હોવાથી બીએસએફના DIG પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને જવાનો ચોકીના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ હાલમાં આ કેસમાં ગેંગસ્ટર સંડોવણી કે આતંકવાદી કાવતરું હોઈ શકે તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પુરાવા એકત્ર કરવા માટે મૃતક જવાનોના મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પંજાબમાં રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષી દળ કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.