એર ઈન્ડિયા ફ્લાઈટમાં આપોઆપ સ્વિચ બંધ થઈ! વિમાન સેવાથી હટાવાયું, અમદાવાદ પ્લેન ક્રેશ સાથે કનેક્શન

February 03, 2026

એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર પ્લેનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામી સર્જાઈ હોવાના દાવાથી હડકંપ મચ્યો છે. આ પ્લેન લંડનના હીથ્રો એરપોર્ટથી ઉડાન ભરીને સોમવારે સવારે બેંગલુરુ પહોંચ્યું હતું. પ્લેનમાં 200થી વધુ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્લાઈટ AI-132ના બેંગલુરુમાં લેન્ડિંગ બાદ પાયલટે વિમાનની 'ડિફેક્ટ લોગ બુક'માં નોંધ્યું હતું કે- ડાબા એન્જિનની ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ 'રન' (Run) થી 'કટ ઓફ' (Cut-off) તરફ સરકી રહી હતી અને લોક થઈ રહી નહોતી.

એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, પાયલટનો રિપોર્ટ મળતાની સાથે જ વિમાનને ફ્લાઈટ ઓપરેશનમાંથી હટાવી દેવામાં આવ્યું છે. આ મામલે નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) ને પણ જાણ કરવામાં આવી છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, તપાસ માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (OEM એટલે કે બોઈંગ કંપની) ને પણ સામેલ કરવામાં આવી છે.

અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગત વર્ષે 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલો પ્લેન ક્રેશ પણ ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં એન્જિન સ્ટાર્ટ કરવામાં પડેલી મુશ્કેલીને કારણે થયો હોઇ શકે છે. કારણ કે આ એક ગંભીર સમસ્યા છે. જ્યારે પાયલોટ પ્લેન ટેકઓફ કરાવી રહ્યો હોય ત્યારે તેનું અનેક અન્ય બાબતો પર પણ ધ્યાન હોય છે. તેવામાં ફ્યૂલ સ્વિચ લોક ન થઇ હોય અને દુર્ઘટનાબની હોઇ શકે છે.