27 વર્ષની લાડીને 72 વર્ષના 'બાપુજી' પરણ્યા, 4 વર્ષ લિવ ઈનમાં રહ્યા, જોધપુરમાં લગ્ન

September 19, 2025

જોધપુર : રાજસ્થાનનું જોધપુર ફરી એકવાર વિદેશી મહેમાનોના લગ્નનું સાક્ષી બન્યું છે. આ વખતે અહીં યુક્રેનના નિવાસી એક કપલે ભારતીય પરંપરાઓથી પ્રેરિત હિન્દુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલ છેલ્લા 3-4 વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહી રહ્યું હતું, પરંતુ ભારતીય પરંપરાઓથી પ્રેરિત થઈને તેમણે પરંપરાગત લગ્ન કરવાનું નક્કી કર્યું.


વાસ્તવમાં 72 વર્ષીય વરરાજા સ્ટાનિસ્લાવ અને 27 વર્ષીય દુલ્હન અનહેલીના પહેલી વાર ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતીય રીતિ-રિવાજો અને પરંપરાઓથી એટલા પ્રભાવિત થયા કે તેમણે જયપુર, ઉદયપુર અને જોધપુરમાંથી લગ્ન કરવા માટે સૂર્યનગરી જોધપુરની પસંદગી કરી. આ કપલના લગ્નને કોઓર્ડિનેટ કરનારી કંપનીના પ્રતિનિધિઓ રોહિત અને દીપકે જણાવ્યું કે, દુલ્હન અનહેલીના ભારતીય રીતિ-રિવાજોથી ખૂબ જ પ્રભાવિત છે, તેથી તેણે દરેક પરંપરાનું પાલન કર્યું. બુધવારે જોધપુર પહોંચ્યા પછી લગ્નની વિધિઓ શરૂ થઈ. વરરાજા શાહી પોશાક, પાઘડી અને કલગી લઈને ઘોડી પર સવાર થઈને જાન લઈને આવ્યો. શહેરના ખાસ બાગમાં પરંપરાગત રીતે વરરાજાનું તિલક કરવામાં આવ્યું. ત્યારબાદ વરમાળા વિધિ થઈ અને પછી વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કપલે સાત ફેરા લઈને લગ્નની વિધિ પૂર્ણ કરી. આ દરમિયાન વરરાજાએ દુલ્હનને મંગળસૂત્ર પહેરાવ્યું અને સિંદૂરથી માંગ પણ ભરી. આ કપલે ભારતીય પોશાક પહેરીને લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરી અને સંગીત પર ડાન્સ પણ કર્યો.