ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન

July 05, 2026

લખનઉ : લોક જનશક્તિ પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પોતાના સંગઠનના વિસ્તાર માટે મોટો નિર્ણય લીધો છે. લખનઉમાં આયોજિત એક મોટા કાર્યક્રમ દરમિયાન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને યુપીની રાજનીતિમાં સક્રિય એન્ટ્રી કરી દીધી છે. ચિરાગ પાસવાનના આ પગલાથી આગામી સમયમાં યુપીના રાજકીય સમીકરણો બદલાય તેવા સંકેતો મળી રહ્યા છે.


કાર્યક્રમમાં જાહેરાત કરતા ચિરાગ પાસવાને જણાવ્યું હતું કે, તેમની પાર્ટી 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ 403 વિધાનસભા બેઠકો પર સંગઠનાત્મક તૈયારી કરશે. જો કે, આ ચૂંટણી ગઠબંધન કરીને લડવી કે એકલા હાથે, તેનો અંતિમ નિર્ણય ઉત્તર પ્રદેશ એકમના પ્રસ્તાવ બાદ કેન્દ્રીય સંસદીય બોર્ડ દ્વારા લેવામાં આવશે. તમામ સીટો પર ચૂંટણી લડવાના સવાલ પર ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે, કોઈ પણ રાજકીય પક્ષે દરેક સીટ પર તૈયારી રાખવી જોઈએ. જો ભવિષ્યમાં ગઠબંધન થાય, તો પણ એલજેપીનું સંગઠન સાથી પક્ષોને જીતાડવામાં મજબૂત મદદરૂપ સાબિત થઈ શકે. બિહાર અને ઝારખંડમાં ગઠબંધન સાથે અને નાગાલેન્ડમાં એકલા હાથે 2 સીટો જીતવાનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, યુપીમાં પહેલા જનતાનો વલણ જોવામાં આવશે અને પછી જ ગઠબંધન અંગે આગળનો નિર્ણય લેવાશે.