Breaking News :

વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા

July 13, 2026

વિયેતનામના પ્રવાસી સ્થળ ફૂ કુઓક ટાપુ નજીક શનિવારે ભારતીય પ્રવાસીઓથી ભરેલી ટુરિસ્ટ બોટ સમુદ્રમાં પલટી જતાં 15 ભારતીયોના મોત થયા હતા. હવે આ દુર્ઘટના અંગે મોટો ખુલાસો થયો છે. મૃતકો એક ભારતીય સ્માર્ટફોન ઉત્પાદક કંપની લાવા દ્વારા આયોજિત રિવોર્ડ ટ્રિપમાં વિયેતનામ ગયા હતા. કંપનીના જણાવ્યા મુજબ, મૃતકોમાં 14 ચેનલ પાર્ટનર્સ અને એક કર્મચારીનો સમાવેશ થાય છે. તેઓ તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના રહેવાસી હતા.

લાવા કંપનીએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે ફૂ કુઓક ટાપુ નજીક થયેલી આ દુર્ઘટનામાં કંપનીના 14 ચેનલ પાર્ટનર્સ અને ટીમના એક સભ્યએ જીવ ગુમાવ્યો છે. કંપનીએ તેને અકલ્પનીય દુર્ઘટના ગણાવી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુઃખની ઘડીમાં તેમની સાથે હોવાનો વિશ્વાસ આપ્યો હતો.

દુર્ઘટનામાં તમિલનાડુના તિરુચિરાપલ્લીના 54 વર્ષીય શેખ અબ્દુલ્લા અબ્દુલ મજીદનું પણ મોત થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ, બોટમાં સવાર થતાં થોડા સમય પહેલાં તેમણે પત્ની, પુત્ર અને પૌત્રી સાથે વીડિયો કોલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેઓ એવા ટાપુ પર જઈ રહ્યા છે જ્યાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ નહીં હોય અને પરત આવીને ફરી વાત કરશે. જોકે, આ જ વાતચીત પરિવાર સાથેની તેમની છેલ્લી વાતચીત સાબિત થઈ હતી.