Breaking News :

અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ જામીન મેળવી છૂટી ગયા

July 13, 2026

અંબાજી મંદિરમાંથી દાનની રકમની ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપી કોર્ટમાંથી જામીન મેળવીને છૂટી ગયા છે. અયોધ્યાના રામ મંદિરની દાનચોરીનો મુદ્દો દેશભરમાં ચર્ચામાં હોય ત્યારે અંબાજી મંદિરનો આ કેસ ફરી ચર્ચામાં આવ્યો છે. આરોપીઓ જામીન પર મુક્ત થતાં માઈ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ કેસ એપ્રિલ મહિનામાં સામે આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં આરોપી ચિરાગ ઠાકોર 21 એપ્રિલે દાનની નોટોના બંડલની ચોરી કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ 7 મેના રોજ તેણે અંદાજે ₹1.04 લાખનું નોટોનું બંડલ ખિસ્સામાં સંતાડી બાથરૂમ જવાના બહાને બિહાર તરફ રવાના થયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બનાસકાંઠાના અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને તપાસ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે, ત્રણેય આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી જતા તેઓ મુક્ત થઈ ગયા છે. દેશભરમાં યાત્રાધામોની સુરક્ષા અંગે સવાલો ઊભા થયા છે ત્યારે ભક્તોએ દાનચોરીમાં સંડોવાયેલા આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર અગાઉ પણ વિવાદમાં રહ્યું છે. વર્ષ 2023માં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને તેના સ્થાને ચિક્કી આપવાના નિર્ણયને લઈને ભારે વિરોધ થયો હતો. લગભગ 10 દિવસ ચાલેલા વિવાદ બાદ રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને મોહનથાળ અને ચિક્કી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો.