PM મોદીની ખેડૂતો માટે દિવાળી ભેટ, રૂ. 42000 કરોડની બે મોટી કૃષિ યોજના શરૂ કરી

October 11, 2025

 દિવાળી પહેલા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપતાં દિલ્હીના પુસા સ્થિત ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાંથી કૃષિ ક્ષેત્રે રૂ. 42,000 કરોડની યોજનાઓ શરૂ કરી છે. તેમણે રૂ. 24,000 કરોડની પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના અને રૂ. 11,440 કરોડની કઠોળ ઉત્પાદકતા મિશનનો પ્રારંભ કર્યો છે. કૃષિ, પશુપાલન, મત્સ્ય અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે રૂ. 5450 કરોડ તેમજ અન્ય યોજનાઓ પાછળ રૂ. 815 કરોડ ફાળવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીએ આજે વડાપ્રધાન ધન ધન્ય કૃષિ યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજના 36 સરકારી યોજનાઓને એકીકૃત કરે છે. ત્રણ પરિમાણોના આધારે આ યોજના માટે 100 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ સમાવિષ્ટ છે. આ યોજના ઓછી ઉપજ ધરાવતા વિસ્તારોને લાભ આપશે.