12 માસૂમોના મોત બાદ સરકાર સફાળી જાગી, મધ્ય પ્રદેશમાં Coldrif સિરપ પર પ્રતિબંધ

October 04, 2025

છિંદવાડામાં 9 બાળકોના મૃત્યુ બાદ મધ્ય પ્રદેશમાં Coldrif કફ સિરપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે આ સંબંધે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ગુનેગારોને છોડવામાં નહીં આવે.

મુખ્યમંત્રી યાદવે 'X' પર લખ્યું કે, 'છિંદવાડામાં Coldrif સિરપના કારણે બાળકોનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. આ સિરપનું વેચાણ આખા મધ્ય પ્રદેશમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. સિરપ બનાવનારી કંપનીના અન્ય પ્રોડક્ટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. સિરપ બનાવનારી ફેક્ટરી કાંચીપુરમમાં છે, તેથી ઘટના સામે આવ્યા બાદ તમિલનાડુ સરકારને પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. શનિવારે વહેલી સવારે જ તપાસ રિપોર્ટ સામે આવ્યો છે અને રિપોર્ટના આધારે કડક એક્શન લેવામાં આવ્યા છે. બાળકોનું દુઃખદ મૃત્યુ બાદ સ્થાનિક સ્તરે કાર્યવાહી ચાલી રહી હતી. રાજ્ય સ્તરે પણ આ મામલે તપાસ માટે ટીમ બનાવવામાં આવી છે. ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે.'