હાફિઝ સઈદના સંપર્કમાં હતો હેન્ડલર શબ્બીર શાહ ƒ પોલીસનો દાવો

February 22, 2026

દિલ્હી- દેશની રાજધાની દિલ્હી સ્પેશિયલ સેલે પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબા સાથે જોડાયેલા મોડ્યુલને લઈને મોટો ખુલાસો કર્યો છે. આઠ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ બાદ તપાસમાં સામે આવ્યું છે કે બાંગ્લાદેશમાં હાજર આ મોડ્યુલનો હેન્ડલર શબ્બીર શાહ લશ્કરના ટોપ નેતૃત્વ સાથે સીધા સંપર્કમાં હતો. જે આતંકીઓને પડકવામાં આવ્યા છે તેમની પાસેથી એક ડઝન કરતાં વધુ મોબાઈલ ફોન અને 16 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. 


ભારતીય સુરક્ષા એજન્સીઓએ દેશમાં ફેલાયેલા આતંકવાદી નેટવર્ક પર મોટો પ્રહાર કરતા કુલ 8 આતંકીઓની ધરપકડ કરી છે. 6 આતંકવાદીઓની તમિલનાડુથી અને 2 શંકાસ્પદોની પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન બાદ ભારત વિરુદ્ધ રચાઈ રહેલા મોટા કાવતરાના અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. 

તપાસમાં સામે આવ્યું છે કે, શબ્બીર અહેમદ લોન (જે શબ્બીર શાહ તરીકે પણ ઓળખાય છે), વર્ષ 2007થી લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઈદ અને 26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ ઝકી-ઉર-રહેમાન લખવી સાથે સતત સીધા સંપર્કમાં હતો. 2007માં જ્યારે દિલ્હીમાં તેની ધરપકડ થઈ હતી, ત્યારે તેની પાસેથી મળેલા પુરાવાઓથી સાબિત થયું હતું કે તે પાકિસ્તાની આતંકી સંગઠનોના આકાઓ સાથે સીધી વાતચીત કરતો હતો. તેમ છતાં વર્ષ 2017માં જેલમાંથી મુક્ત થયા બાદ તે ભારત છોડીને ભાગી ગયો હતો.
સ્પેશિયલ સેલે એ પણ ખુલાસો કર્યો છે કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે ખતરનાક પ્લાન બનાવી રહી છે. ISI ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની ભરતી કરી રહ્યું છે. તે ભારતમાં ફરી આતંકવાદી હુમલા માટે મજબૂત નેટવર્ક ઊભું કરવા માંગે છે, જેના માટે  મોટા પાયે ફંડિંગ પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.