એટલાન્ટિકમાં ક્રૂઝ જહાજ પર હંતા વાયરસનો કહેર: 3 પ્રવાસીઓના મોત બાદ WHOએ જાહેર કરી એડવાઈઝરી

May 11, 2026

કોવિડ-19 રોગચાળા પછી ફરી એકવાર સમગ્ર વિશ્વમાં હંતા વાયરસ નામના નવા વાયરસનો ભય ફેલાઈ રહ્યો છે. હાલમાં એટલાન્ટિક મહાસાગરમાં સ્થિત ડચ ધ્વજવાળું ક્રૂઝ જહાજ MV હોન્ડિયસ આ વાયરસના કારણે સમાચારમાં છે. આ જહાજ પર વાયરસ ફાટી નીકળતા અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે અને અનેક મુસાફરો સંક્રમિત થયા છે. આ તાજેતરના કેસોએ જાહેર આરોગ્યની ચિંતાઓમાં વધારો કર્યો છે. હંતા વાયરસનું આ સ્વરૂપ સામાન્ય રોગો કરતા ઘણું અલગ અને વિનાશક માનવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના રોગચાળા અને વૈશ્વિક રોગચાળા વ્યવસ્થાપનના નિયામક ડૉ. મારિયા વાન કેરખોવે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી હતી કે આ વાયરસ કોવિડ કે ઈન્ફલ્યુએન્ઝા નથી, પરંતુ તે સંપૂર્ણપણે અલગ રીતે ફેલાય છે. જોકે, WHO એ એ વાત પર ભાર મૂક્યો હતો કે આ વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાતો ન હોવાથી હાલમાં જોખમ ઓછું છે. તેમ છતાં જહાજ પર બનેલી આ ઘટનાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેખરેખ વધારવામાં આવી છે.

આ સંક્રમણની શરૂઆત આર્જેન્ટિનાથી રવાના થયેલા જહાજમાં થઈ હતી, જેમાં વિવિધ દેશોના આશરે 150 પ્રવાસીઓ સવાર હતા. 2 મેના રોજ પ્રથમ કેસ નોંધાયો હતો જ્યારે એક મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચેપનો પહેલો ભોગ 70 વર્ષના એક ડચ નાગરિક બન્યા હતા, જે 1 એપ્રિલે મુસાફરી શરૂ થયાના થોડા સમય બાદ બીમાર પડ્યા હતા. તેમણે તાવ, માથાનો દુખાવો અને ઝાડાની ફરિયાદ કરી હતી અને અંતે જહાજ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે.