અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા

June 28, 2026

અમરાવતી : મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પર કાર અને કન્ટેનગર વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. રસ્તા પર ઉભેલી કન્ટેનગર પાછળ ફુલ સ્પીડે આવી રહેલી કાર ઘૂસી જતાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ હાઈવે પર કન્ટેનગર કિનારા પર ઉભું હતું. આ દરમિયાન પાછળથી કારે ભયંકર ટક્કર મારતા કારનો ખુરદો બોલાઈ ગયો છે.


પ્રાથમિક તપાસ મુજબ, તમામ મૃતકો ચંદ્રપુર જિલ્લાના રહેવાસી હતા અને તેઓ પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અકોલા જઈ રહ્યા હતા. અકસ્માતમાં આખા પરિવારની ખુશીઓ ક્ષણવારમાં ઉજડી ગઈ છે. મૃતકોમાં ભાસ્કર જીવને (57 વર્ષ), મહાદેવ જીવને (42 વર્ષ), આરતી જીવને (40 વર્ષ), લતા જીવને (43 વર્ષ) અને કૃષ્ણા જીવને (12 વર્ષ) સામેલ છે.


ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, પુરઝડપે દોડી રહેલી કાર કન્ટેનરની પાછળ ભયંકર રીતે ટકરાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, જેમાં કોઈની બચવાની સંભાવન ન હતી. ઘટનની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા, જોકે ડૉક્ટરોએ પાંચેયને મૃત જાહેર કર્યા હતા.