ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: વર્ષ 2009 જેવા ભયાનક દુષ્કાળની આશંકા

June 28, 2026

ગુજરાત સહિત 27 રાજ્યો પ્રભાવિત, ડેમોમાં પાણી તળિયે, મુખ્ય જળાશયો ખાલીખમ


27 રાજ્યો અસરગ્રસ્ત, ટૂંકા ગાળાના પાક લેવા સરકારની અપીલ

ભારતમાં ચાલુ વર્ષે ઉનાળુ ચોમાસાની શરૂઆત છેલ્લા દોઢ દાયકામાં સૌથી નબળી રહી છે. જેણે દેશના કૃષિ ક્ષેત્ર અને વહીવટીતંત્રની ચિંતામાં મોટો વધારો કર્યો છે. જૂન મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે દેશનો 76 ટકા હિસ્સો હાલ વરસાદની ભારે અછતનો સામનો કરી રહ્યો છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલી 'અલ નીનો'ની પ્રતિકૂળ અસરોને કારણે આગામી જુલાઈ મહિનો પણ સામાન્ય કરતાં વધુ સૂકો રહેવાની સંભાવના છે.
સમગ્ર દેશમાં પીવાના પાણી અને સિંચાઈ માટે મોનિટર કરવામાં આવતા 166 મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક રીતે ઘટી ગયું છે. 25 જૂનની સ્થિતિએ આ ડેમોમાં તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 26 ટકા (આશરે 48 અબજ ક્યુબિક મીટર) જ લાઈવ સ્ટોરેજ બચ્યું છે. પાણીની સપાટી ઘટીને ઈન્દિરા સાગરમાં 14 ટકા, નાગાર્જુન સાગરમાં 5 ટકા અને તેહરી ડેમમાં માત્ર 2 ટકા સુધી પહોંચી ગઈ છે, જે આગામી સમયમાં જળસંકટ ઊભું થવાના સ્પષ્ટ સંકેતો આપે છે.


હવામાન ભૌતિકશાસ્ત્રી અને પૂર્વ કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન સચિવ માધવન રાજીવનના જણાવ્યા અનુસાર, ચાલુ ચોમાસાની આ સ્થિતિ વર્ષ 2009 ના ભયાનક દુષ્કાળ જેવા લક્ષણો દર્શાવી રહી છે. તે વર્ષે પણ જૂનમાં 47 ટકા ઓછો વરસાદ પડ્યો હતો અને આખું ચોમાસું 22 ટકા નીચું રહ્યું હતું. આ વર્ષે પણ જૂન મહિનામાં બંગાળની ખાડીમાં એક પણ લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ નથી, જે સામાન્ય રીતે મધ્ય અને ઉત્તર ભારતમાં વ્યાપક વરસાદ લાવવા માટે ટ્રિગરનું કામ કરે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના 27 રાજ્યો હાલમાં વરસાદની અછતનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) દ્વારા દેશના 315 જિલ્લાઓને અત્યંત સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.