ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધતાં કાશ્મીરમાં અનેક જગ્યાએ ઈન્ટરનેટ બંધ, કલમ 144 લાગુ

March 03, 2026

શ્રીનગરઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે વૈશ્વિક સ્તરે અશાંતિ ફેલાવી રહ્યું છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અને શિયા સમુદાયના ધાર્મિક વડા આયાતુલ્લા અલી ખામેનેઈ મોત બાદ વિશ્વના અનેક ઇસ્લામિક દેશોમાં આક્રોશ ફાટ્યો છે. આ પરિસ્થિતિની અસર હવે ભારતમાં જોવા મળી છે. શ્રીનગરમાં હિંસક પ્રદર્શનો પછી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવાની સાથે કલમ 144 લાગુ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના અનેક જિલ્લાઓમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. સોમવારે સતત બીજા દિવસે પણ ખીણમાં જનજીવન ખોરવાયેલું જોવા મળ્યું હતું. પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને અવગણીને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે શ્રીનગર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને અર્ધલશ્કરી દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. હિંસા રોકવા માટે પોલીસે ટીયર ગેસના ગોળા છોડ્યા હોવાના પણ સમાચાર છે.

વધતા તણાવને જોતા વહીવટીતંત્રે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બે દિવસની રજા જાહેર કરી દીધી છે. અફવાઓ ફેલાતી અટકાવવા માટે ઈન્ટરનેટની સ્પીડ પણ મર્યાદિત કરી દેવામાં આવી છે. શ્રીનગરના લાલચોક, આલમગરી બજાર અને બડગામ જેવા શિયા બહુલ વિસ્તારોમાં અવરજવર પર સખત પ્રતિબંધો લગાવ્યા છે. બજારો, કચેરીઓ અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.