જગદીપ ધનખડનું રાજીનામું મંજૂર, PM મોદીએ પણ આપી પ્રતિક્રિયા

July 22, 2025

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતાં આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. આજે મંગળવારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકાર્યું છે.

74 વર્ષીય ધનખડ 2022થી ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળી રહ્યા હતાં. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું મંજૂર કર્યું છે. આગામી કાર્યવાહી માટે ગૃહ મંત્રાલયને રાજીનામું મોકલવામાં આવ્યું છે. જેના પર થોડી વારમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર એક્સ પર પોસ્ટ કરી તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે કહ્યું કે, જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અન્ય ભૂમિકાઓમાં દેશની સેવા કરવાની અનેક તક મળી હતી. તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે હું શુભકામના પાઠવું છું.

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ ગઈકાલે સોમવારે અચાનક રાજીનામાંની જાહેરાત કરી હતી. આમ ચાલુ કાર્યકાળમાં જ અધવચ્ચે રાજીનામું આપનારા તેઓ ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. તેમની પહેલાં વીવી ગિરીએ ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે 3 મે, 1969માં તત્કાલિન રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈનના નિધન બાદ કાર્યકારી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું હતું. ભૈરવસિંહ શેખાવતે પમ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સંપ્રગ ઉમેદવાર પ્રતિભા પાટિલ વિરૂદ્ધ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ 21 જુલાઈ, 2007ના રોજ ઉપરાષ્ટ્રપતિ પદના કાર્યકાળ દરમિયાન રાજીનામું આપી દીધુ હતું.