જામનગર મસાલા ફેક્ટરીમાં આગ, 35 ટન મરચા બળીને ખાખ

March 08, 2026

મરચાનો વિશાળ જથ્થો સળગી ઊઠ્યો


જામનગર : જામનગર નજીક હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી મધુસુદન મસાલા નામની ફેક્ટરીમાં રવિવારે અકસ્માતે આગ લાગી હતી, અને આશરે 35 ટન જેટલો મરચાનો જથ્થો સળગી ઉઠ્યો હતો. ફાયર વિભાગની ટુકડીએ ભારે જહેમત લઈને પાણીના ત્રણ ટેન્કરો વડે આગને કાબુમાં લઈ લીધી હતી, જેથી ફેક્ટરીની મશીનરી બચી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, જામનગરના વેપારી હિરેનભાઈ કોટેચા વગેરેની માલિકીની હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક ફેક્ટરીમાં બહારના ભાગમાં આશરે 35 ટન જેટલો સુકા મરચાનો જથ્થો રાખવામાં આવ્યો હતો, જ્યાં કોઈપણ રીતે આગ લાગી હતી. જે આગ જોતજોતામાં ફેલાઈ ગઈ હતી, અને મરચાનો વિશાળ જથ્થો સળગી ઊઠતાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, તેમ જ ખૂબ જ આંખોમાં બળતરા થાય તે પ્રકારનું વાતાવરણ બની ગયું હતું.  આગના આ બનાવ અંગેની ફાયર વિભાગને જાણ કરાતાં ફાયર જવાનોને ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અલગ-અલગ ત્રણ ફાયર ટેન્ડરની મદદથી આખરે સવા કલાકની જહેમત લઈને આગને કાબુમાં લઈ લીધી હતી. મરચામાં આગ લાગી હોવાથી તેનો ધુમાડો નીકળ્યો હતો અને આંખો બળે તેવી પરિસ્થિતિ હોવાથી ફાયર વિભાગના સ્ટાફે ખાસ પ્રકારના ડ્રેસ પહેરીને કામગીરી કરવી પડી હતી. સમયસર આગ કાબૂમાં આવી ગઈ હોવાથી કારખાનાની અંદરની મશીનરી વગેરેનો બચાવ થયો હતો. આગની આ ઘટનાને લઈને કારખાનેદારને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આશરે 35 ટન જેટલો મરચાનો જથ્થો ભશ્મીભૂત થયો છે. જેની સર્વેની કામગીરી ચાલી રહી છે.