મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ!

February 02, 2026

Manipur News: મણિપુરના 20થી વધુ ભાજપ ધારાસભ્યો પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથેની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી પહોંચ્યા છે. પાર્ટીના રાજ્ય એકમના પ્રમુખ પણ તેમની સાથે છે. મણિપુર ભાજપના પ્રમુખ અધિકારીમાયુમ શારદા દેવીએ જણાવ્યું કે, 'તમામ રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. અમને આશા છે કે જનતાની સરકાર બનશે.'

પૂર્વ મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું, 'એનડીએના સાથી પક્ષોના તમામ ધારાસભ્યોને બેઠકમાં આમંત્રણ આપવામાં આવી રહ્યું હોવાથી, મને સકારાત્મક પરિણામની આશા છે. અગાઉ, ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. રાષ્ટ્રપતિ શાસન 12મી ફેબ્રુઆરીએ સમાપ્ત થાય છે. અમને સકારાત્મક પરિણામની આશા છે.'

એન. બિરેનને પૂછવામાં આવ્યું કે જો તે સત્તામાં હોત તો પરિસ્થિતિ અલગ હોત, ત્યારે તેમણે કહ્યું, 'સરકાર એક ચાલુ પ્રક્રિયા છે. મેં મણિપુરમાં પરિસ્થિતિ બદલવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યાં. પહાડી અને ખીણ બંને વિસ્તારોમાં નોંધપાત્ર ફેરફારો થયા છે.' લામસંગ મતવિસ્તારના ધારાસભ્ય એસ. રાજન સિંહે કહ્યું, 'સરકાર રચવાની શક્યતા છે. જોકે, રાજ્યની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નેતાની પસંદગી કરવામાં આવશે. આ બેઠક સોમવારે સાંજે થવાની શક્યતા છે.'