હિમાચલ પ્રદેશમાં મેઘતાંડવ: અત્યાર સુધી 157ના મોત, 257 ગુમ! 259 રસ્તા બંધ, કુલ્લુ અને મંડીમાં અંધારપટ

August 11, 2026

પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસું આફત બનીને તૂટી પડ્યું છે. સતત થઈ રહેલા ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં ભારે વિનાશ સર્જાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટરના તાજેતરના અહેવાલ મુજબ, 30 જૂનથી 9 ઓગસ્ટ વચ્ચેના સમયગાળામાં રાજ્યમાં 157 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 257 લોકો હજુ પણ ગુમ છે.

રાજ્યમાં લગભગ 900 સરકારી તથા ખાનગી મિલકતો અને જાહેર કામોને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અત્યાર સુધીમાં અંદાજે રૂ. 886 કરોડનું આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

હિમાચલમાં વરસાદી હોનારતના કારણે ચારેય તરફ તબાહીનો માહોલ છે. 

હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના 5 મુખ્ય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે હિમાચલની મુશ્કેલીઓ હજુ પણ પૂરી થઈ નથી.