મિથુન ચક્રવર્તી હોસ્પિટલમાં દાખલ, કોલકાતામાં થઈ સર્જરી

August 07, 2026

કોલકત્તા : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીની તબિયત બગડતાં તેમને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું એક નાનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ગુરુવારે તેમનું ઓપરેશન સફળ રહ્યુ હતુ, જેમાં તેમના શરીરમાં અગાઉના એક અકસ્માત બાદ લગાવવામાં આવેલી મેટલ પ્લેટને દૂર કરવામાં આવી છે. સર્જરી બાદ ડોક્ટરોએ જણાવ્યું કે, મિથુન ચક્રવર્તીની સ્થિતિ હવે સ્થિર છે. હોસ્પિટલમાં તેમની મુલાકાત લેવા પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારી પહોંચ્યા હતા, અને તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી. મિથુન ચક્રવર્તીની ફિલ્મી કારકિર્દી પાંચ દાયકાથી વધુ લાંબી છે, જેમાં તેમણે 350 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1976માં મૃણાલ સેનની ફિલ્મ 'મૃગયા' થી અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. જોકે, તેમને ખરી ઓળખ અને લોકપ્રિયતા 1982 ની સુપરહિત ફિલ્મ 'ડિસ્કો ડાન્સર' થી મળી હતી. તબિયત સુધારા પર આવ્યા બાદ મિથુન ચક્રવર્તી ટૂંક સમયમાં જ મોટા પડદા પર વાપસી કરશે. હાલમાં તેમની પાસે બે મોટા પ્રોજેક્ટ્સ છે, જેમાં સની દેઓલ સાથેની ફિલ્મ 'બંટવારા 1947' અને રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જેલર 2' છે.