Breaking News :

દાહોદના અભલોડમાં પનીર અને કેરીનો રસ ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાતા ગામમાં જ મેડિકલ કેમ્પ શરૂ કરાયો

April 21, 2026

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ એકસાથે 400થી વધુ મહેમાનોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ફૂડ પોઈઝનિંગનો શિકાર બનેલા લોકોમાં પનીર અને કેરીનો રસ ખાધા બાદ ઝાડા-ઊલટીની ફરિયાદ ઉઠી હતી, જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક સારવારની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, સોમવારે (20મી એપ્રિલ) સાંજે 6 વાગ્યે અભલોડ ગામે યોજાયેલા લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ભોજન માટે એકત્ર થયા હતા. જોકે, જમ્યાના થોડા જ સમયમાં અનેક લોકોને ગંભીર અસ્વસ્થતા અને ઝાડા-ઊલટી થવા લાગ્યા હતા. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ગામમાં જ યુદ્ધના ધોરણે મેડિકલ કેમ્પ જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

આ ઘટનામાં અસરગ્રસ્ત અંદાજે 200 દર્દીઓને વિવિધ ખાનગી દવાખાનાઓમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 200 જેટલા લોકોને ગામમાં જ તબીબોની વિશેષ ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી હતી. રાહતના સમાચાર એ છે કે કોઈ જાનહાનિ થઈ નથી, જોકે કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાથી તબીબો તેમનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના નમૂના લઈ તપાસની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.